મુખ્ય સમાચાર
News of Saturday, 3rd August 2019

૧પ ઓગસ્ટથી ખેડૂતોને મળશે મહિને ૩૦૦૦નું પેન્શન

મોદી સરકાર ૧પમીથી કિસાન પેન્શન યોજના અમલી બનાવશે : પ્રથમ ૩ વર્ષમાં પ કરોડ લાભાર્થીઓને જોડવાનું લક્ષ્યાંકઃ સરકારની તિજોરી ઉપર રૂ.૧૦,૭૭૪.પ કરોડનો વાર્ષિક બોજો પડશે : સરેરાશ ઉંમર ર૯ વર્ષ હોય તો તેણે મહિને રૂ. ૧૦૦નું આપવાનું યોગદાન

નવી દિલ્હી, તા. ૩ : મોદી સરકાર હવે ખેડૂતો માટે ૧પ ઓગસ્ટથી પેન્શન સ્કીમ શરૂ કરશે. આ સ્કીમના ડ્રાફટને અંતિમરૂપ અપાઇ ચૂકયું છે. નાણા મંત્રાલયની સાથે કૃષિ મંત્રાલયના ઉચ્ચ અધિકારીઓએ મળીને આ કાર્ય પૂરૂ કર્યું છે. સુત્રો અનુસાર, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી ૧પ ઓગસ્ટે કિસાન પેન્શન સ્કીમની શરૂઆત કરશે. કૃષિ સચિવે રાજયોને પત્ર લખીને સ્કીમ લાગુ કરવા માટેની મીકેનીઝમ તૈયાર કરવાનો આદેશ આપ્યો છે. આ યોજના હેઠળ એલઆઇસી ખેડૂતોના પેન્શન ફંડને મેનેજ કરશે. આ સ્કીમ હેઠળ ખેડૂતોને ૬૦ વર્ષના થયા પછી ૩૦૦૦ રૂપિયા પેન્શન તરીકે આપવાની જોગવાઇ છે.

ઉલ્લેખનીય છે કે, આ યોજનાથી સરકારી ખજાના પર વાર્ષિક ૧૦૭૭૪.પ કરોડ રૂપિયાનો બોજ વધશે. આ યોજનામાં જોડાનાર વ્યકિતની ઉંમર ર૯ વર્ષ હશે તો તેણે મહિને ૧૦૦ રૂપિયાનું યોગદાન આપવું પડશે. જો તેની ઉંમર ર૯થી ઓછી હશે તો યોગદાનની રકમ ઓછી થશે અને જો ઉંમર વધારે હશે તો યોગદાનની રકમ વધશે. સુત્રો અનુસાર આ યોજનામાં જોડાવા માટે ૧૮થી ૪૦ વર્ષના ખેડૂતો અરજી કરી શકશે. ખેડૂતોએ દર મહીને ૧૦૦ રૂપિયાનું યોગદાન આપવું પડશે. ૬૦ વર્ષની ઉંમર થયા પછી તેને દર મહીને ૩૦૦૦નું પેન્શન મળશે. ખેડૂતો માટે આ યોજના સંપૂર્ણ સ્વૈચ્છિક રહેશે. તેમાં અડધો ભાગ ખેડૂતોનો અને અડધુ યોગદાન સરકાર નાખશે. આવતા સપ્તાહથી તેના રજીસ્ટ્રેશનની શરૂઆત થઇ જશે.

નાણા મંત્રાલયના ઉચ્ચ અધિકારીઓ અનુસાર આ સ્કીમમાં રાજય સરકારોનો પૂરો સહકાર લેવામાં આવશે. રાજયોને કહેવામાં આવ્યું છે કે, તેઓ વધુમાં વધુ ખેડૂતોને આનો લાભ પહોંચાડવામાં સહકાર આપે. કેન્દ્ર સરકાર આની સંપૂર્ણ જવાબદારી ઉઠાવશે અને રાજય સરકારો પર આનો કોઇ નાણાકીય બોજ નહીં નાખવામાં આવે.(૮.પ)

 

(10:35 am IST)