જવાન, છ વર્ષના બાળકની હત્યા કરનાર આતંકી ઠાર
ભારતીય સેનાનું સફળ ઓપરેશન
જમ્મુ, તા. ૩ : ગયા સપ્તાહે જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF)ના એક જવાન અને છ વર્ષના બાળકની હત્યા કરનાર આતંકવાદીને ગુરૂવારે મોડી રાતે ભારતીય સેનાના જવાનોએ શ્રીનગર ખાતે એન્કાઉન્ટરમાં ઠાર કરી દીધો હતો. મંગળવારના રોજ અનંતનાગમાં આતંકવાદી જહિદ દાસને જવાનોએ ચારેય તરફથી ઘેરી લીધો હતો તેમ છતા પણ તે ભાગી જવામાં સફળ રહ્યો હતો. શ્રીનગરના માલબાગ વિસ્તારમાં ગુરૂવારે મોડી રાત્રે સ્પેશિયલ ઓપરેશન્સ ગ્રુપ અને સીઆરપીએફ દ્વારા સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું. ગુરૂવારે એન્કાઉન્ટરમાં ફરજ બજાવી રહેલા એક સીઆરપીએફ જવાન પણ શહીદ થયા હતા. જમ્મુ-કાશ્મીર પોલીસે શુક્રવાર સવારે ટ્વીટ કરીને આ અંગેની જાણકારી આપી હતી. કાશ્મીરના આઈજીપીનું કહેવું છે કે જમ્મુ-કાશ્મીર પોલીસ અને સીઆરપીએફેના જોઈન્ટ ઓપરેશનમાં આતંકવાદીને ઠાર કરવામાં સફળતા મળી હતી.