કોરોનાઃ દેશમાં ૨૪ કલાકમાં ૩૭૯ લોકોના મોતઃ કુલ મૃત્યુઆંક ૧૮૨૧૩
છેલ્લા ૨૪ કલાકમાં ૨૦૯૦૩ નવા કેસ સામે આવ્યાઃ કુલ કેસની સંખ્યા થઈ ૬૨૫૫૪૪: અમેરિકામાં ૨૪ કલાકમાં ૫૪૮૭૯ નવા કેસ
નવી દિલ્હી, તા. ૩ :. ભારતમાં કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે. છેલ્લા ૨૪ કલાકમાં ૨૦૯૦૩ નવા પોઝીટીવ કેસ સામે આવ્યા છે અને આ દરમિયાન ૩૭૯ લોકોના મોત થયા છે.
સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના જણાવ્યા પ્રમાણે આ સાથે જ ભારતમાં હવે કોરોના વાયરસના કુલ ૬૨૫૫૪૪ કેસ થઈ ગયા છે. આમાથી ૩૭૯૮૯૨ લોકો સાજા થયા છે અથવા તો હોસ્પીટલમાંથી રજા આપવામાં આવી છે તો કોવિડ-૧૯થી અત્યાર સુધીમાં ૧૮૨૧૩ લોકોના મોત થયા છે.
આઈસીએમઆરના જણાવ્યા પ્રમાણે પરીક્ષણ કરવામાં આવેલા કુલ સેમ્પલની સંખ્યા ૯૨૯૭૭૪૯ છે. જેમાંથી ૨૪૧૫૭૬ સેમ્પલનું પરિક્ષણ કરવામાં આવ્યુ હતું.
ભારતમાં ગઈકાલે જ સંક્રમિતોની સંખ્યા ૬ લાખની ઉપર ચાલી ગઈ હતી. છેલ્લા ૫ દિવસમાં જ ૧ લાખ કેસ સામે આવ્યા છે. દેશમાં ૬૦ ટકાથી વધુ દર્દીઓ સાજા થયા છે.
દેશમાં કોરોના વાયરસના કેસ ૧ લાખ પહોંચવામાં ૧૧૦ દિવસ લાગ્યા હતા જ્યારે ૪૪ દિવસમાં કેસ ૬ લાખ ઉપર ચાલ્યા ગયા છે.