મુખ્ય સમાચાર
News of Wednesday, 3rd June 2020

પતિની હત્યા કરી શબને જમીનમાં દાટયું

દારૂના દૈત્યનો હાહાકાર

પાલી (રાજસ્થાન) તા. ૩: સાદડી પોલીસ સ્ટેશનની હદમાં માદા ગામમાં પત્નીએ પતિની હત્યા કરીને લાશને ફાર્મ હાઉસની જમીનમાં દાટી દીધી હતી. મૃતકના જમાઇની ફરીયાદ પછી પોલીસ ફાર્મ હાઉસ પહોંચી અને લાશને બહાર કાઢી હતી. પોલીસે આરોપી પત્નીની ધરપકડ કરી છે. બનાવ ૧ર દિવસ પહેલા બન્યો હોવાનું કહેવાઇ રહ્યું છે.

પત્નીનું કહેવું છે કે તે પોતાના પતિની દારૂની આદતથી કંટાળી હતી અને તેથી તેણે તેની હત્યા કરી હતી. માદા નિવાસી હમેરસિંહ રાજપુરોહિત પોતાની પત્ની કમલાદેવી સાથે ગામમાં રહેતો હતો. તે વધારે દારૂ પીતો હોવાથી પત્ની હેરાન પરેશાન હતી. ૧ર દિવસ પહેલા તેણે પોતાના ફાર્મ હાઉસ પર સુઇ રહેલા પતિની લોખંડના સળીયા મારીને હત્યા કરી હતી અને ત્યાં જ લાશને રજાઇ વીંટાળીને જમીનમાં દાટી દીધી. હમેરસિંહનો જમાઇ અશોકસિંહ રાજપુરોહિત પોતાની પત્ની રિંકુ સાથે માદા ગામમાં પોતાના સાસરે આવ્યો ત્યારે તેણે સાધુ કમલાદેવીને સસરા બાબતે પૂછતા તેણે કહ્યું કે તેની હત્યા કરીને લાશ ફાર્મહાઉસમાં દાટી દીધી છે. કમલાનો જમાઇ સુરતમાં રહે છે.

(3:06 pm IST)