ટ્રેનનો પ્રવાસ હવે ટિકિટથી નહીં કયુ આર કોડથી થશે
કોવિડ સ્પેશિયલ ટ્રેનમાં હાફ ટિકિટની જોગવાઇ નહીં
નવી દિલ્હી, તા. ૩ : કોવિડ-૧૯ સામે સાવચેતીનાં પગલા લેવાના ભાગ રૂપે હવે રેલ્વેની ટિકિટના બદલે માત્ર કયુઆર કોડથી જ યાત્રી તેની ટ્રેન સફર કરી શકશે. આજથી પાઇલટ પ્રોજેકટના ભાગ રૂપે રેલ્વે તંત્ર દ્વારા પ્રયાગરાજ સ્ટેશન પર કયુઆર કોડ આધારિત રિઝર્વ ટિકિટ સ્ક્રેનિંગ વ્યવસ્થા શરૂ કરવામાં આવી છે જે હવે પછી ગુજરાત સહિત દેશભરની ટ્રેનોમાં લાગુ પડશે.
કોરોના વાઇરસના કારણે યાત્રીઓની સુરક્ષા અર્થે દરેક સ્ટેશન પર યાત્રીઓની આવન માટે અલગ અને જાવન માટે અલગ અલગ રસ્તાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. થર્મલ સ્ક્રીનિંગ વગર યાત્રીઓને રેલવે સ્ટેશનમાં પ્રવેશ આપવામાં આવશે નહીં. કયુઆર કોડના આધારે યાત્રી આરામથી ટ્રેનમાં સફર કરી શકાશે તેવું રેલ્વે તંત્રનાં સુત્રોએ જણાવ્યું હતું. કયુઆર કોડનો ડેટા સ્ટેશન પર મુકેલા મશીનમાં સેવ થઇ જશે. સ્ટેશન પહોંચેલા યાત્રીએ સ્ક્રીનિંગ કરાવ્યા બાદ ગેટ પાસે રહેલા કર્મચારીને માત્ર કયુઆરકોડ બતાવવાનો રહેશે. કર્મચારી તેને ડિસ્ટન્સ રાખીને સ્કેન કરી લેશે. જેના આધારે યાત્રીનું બોર્ડિંગ કન્ફર્મ થઇ જશે.
ત્યારબાદ તંત્રની સિસ્ટમમાં ચાર્ટ પ્રિન્ટ થયેલો હશે. જેની જાણકારી પહેલેથી યાત્રીને હોવાના કારણે તેને ચાર્ટની જરૂર રહેશે નહીં. આઇઆરસીટીસી દ્વારા રિઝર્વ ટિકિટ ધરાવનાર તમામ યાત્રીઓને તેમના મોબાઇલ પર કયુઆરકોડ મોકલી દેવામાં આવશે. આ ઉપરાંત કોવિડ સ્પેશિયલ ટ્રેનમાં પ થી ૧ર વર્ષનાં બાળકોનું અર્ધુ નહીં પરંતુ પુરૃં ભાડુ વસુલવામાં આવશે. ટ્રેનોમાં વેન્ડરને પ્રવેશવાની પરવાનગી મળશે નહીં. બર્થ નહીં મળી હોય તેવા કોઇ પણ યાત્રીને ટ્રેનમાં પ્રવેશ મળશે નહીં.