IPLમાં કોરોનાની એન્ટ્રી : અમદાવાદનો આજનો મેચ રદ્દ
KKRની આખી ટીમ આઈસોલેટ : ટીમના બાકીના ખેલાડીઓનો રીપોર્ટ નેગેટીવ આવતા હાશકારો : કોલકત્તાની ટીમના વરૂણ ચક્રવર્તી અને સંદિપ વોરીયર્સને કોરોના : ટીમમાં ચિંતાનું મોજુ ફરી વળ્યુ
રાજકોટ, તા. ૩ : આઈપીએલમાં પણ હવે કોરોનાનું ગ્રહણ લાગી ગયું છે. કોલકતા નાઈટ રાઈડર્સના બે ખેલાડીઓ વરૂણ ચક્રવર્તી અને સંદિપ વોરીયર્સને કોરોના પોઝીટીવ આવતા હડકંપ મચી ગયો હતો. જયારે બાકીના ખેલાડીઓનો રીપોર્ટ નેગેટીવ આવતા હાશકારો થયો હતો. જો કે આખી ટીમને આઈસોલેટ કરી દેવામાં આવી છે. આજે સાંજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાનાર કોલકતા અને બેંગ્લોરના મેચ તાત્કાલીક અસરથી રદ્દ કરી દેવામાં આવ્યો છે.
કોરોનાના કહેર હવે આઈપીએલમાં પણ જોવા મળી રહ્યો છે. આજે અમદાવાદમાં આયોજીત કોલકાતા નાઈટ રાઇડર્સ અને બેંગ્લોર વચ્ચેની મેચ રદ કરવામાં આવી છે. કોલકાતાના બે ખેલાડીઓ સંદિપ વોરીયર્સ અને વરૂણ ચક્રવર્તીને કોરોના પોઝિટિવ રીપોર્ટ આવતા આ નિર્ણય લેવાયો છે.
આઈપીએલની ૧૪ મી સીઝનની ૩૦મી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગલોરનો અમદાવાદમાં કોલકાતા નાઈટ રાઇડર્સ વચ્ચે સાંજે ૭.૩૦ વાગ્યે મેચ રમાનાર હતો.
કોરોના સંક્રમણને ટાળવા બીસીસીઆઈ દ્વારા મજબૂત બાયોબલનુ આયોજન કર્યુ હતુ અત્યાર સુધીમાં ૨૯ મેચને સફળતાપૂર્વક યોજાયા હતા. ચેન્નઇ અને મુંબઇના તમામ મેચ પૂર્ણ થઇ ગયા છે.
બીસીસીઆઈએ આઇપીએલ -૧૪ માં ખેલાડીઓ માટે બાયો બબલને વધુ કડક બનાવ્યો છે કારણ કે કોરોનાના વધતા જતા કેસોને કારણે ખેલાડીઓ પર સતત કોરોનાથી સંક્રમિત થવાનુ સંકટ વધી ગયુ છે. આટલા કડક નિયમો હોવા છતા ખેલાડીઓ સંક્રમણથી બચી શક્યા નહીં.
એવું કહેવામાં આવ્યું હતું કે હોટલોમાં રહેતા ખેલાડીઓ અને સભ્યોને બહારથી ખોરાક મંગાવવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. બાયોબલમાં રહેતા ખેલાડીઓ હવે હોટલની અંદરથી મળી રહેલી વસ્તુઓ જ ખાઇ શકશે. આમ છતા કેકેઆરના વરૂણ ચક્રવર્તી અને સંદીપ વોરિયરને સંક્રમણ લાગ્યું છે.
આઈપીએલની શરૂઆત પહેલા જ ઘણા ખેલાડીઓ કોરોનાની ઝપેટમાં આવી ગયા હતા. કોલકતા નાઈટ રાઈડર્સના નીતીશ રાણા, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના દેવદત્ત પડીકલ, દિલ્હી કેપીટલ્સના અક્ષર પટેલ, એનરીચ નોર્ખીયા અને ડેનીયલ સીમ્સને પણ સંક્રમીત થઈ ચૂકયા છે.