કાલથી હરિયાણામાં એક સપ્તાહનું લૉકડાઉન અમલી
દિલ્હી બાદ વધુ એક રાજ્યમાં સંપૂર્ણ લૉકડાઉન : ત્રીજી મે સોમવારથી ૭ દિવસ માટે હરિયાણામાં લૉકડાઉન
ચંડીગઢતા.૨ : હરિયાણામાં કોરોના વાયરસનો પ્રકોપ સતત વધી રહ્યો છે. કોરોનાની ચેન તોડવા માટે હરિયાણા સરકારે રાજ્યભરમાં લૉકડાઉન લગાવવાની જાહેરાત કરી છે. સરાકેર કહ્યું કે, ૩ મેથી રાજ્યમાં ૭ દિવસનું લૉકડાઉન લાગૂ થશે. તો ઓડિશા સરકારે પણ રાજ્યમાં ૧૪ દિવસનું લૉકડાઉન લાગૂ કર્યું છે.
ગૃહમંત્રી અનિલ વિજે જણાવ્યુ કે, ૩ મે સોમવારથી સાત દિવસ માટે હરિયાણામાં પૂર્વ લૉકડાઉન જાહેર કરવામાં આવી રહ્યું છે. આ પહેલા સરકારે ગુરૂગ્રામ અને ફરીદાબાદ સહિત ૯ જિલ્લામાં વીકેન્ડ લૉકડાઉનનો નિર્ણય કર્યો હતો. હરિયાણામાં ૩૦ એપ્રિલે રાત્રે ૧૦ કલાકથી ૩ મે સવારે પાંચ કલાક સુધી લૉકડાઉનની જાહેરાત થઈ હતી.
આ લૉકડાઉન પંચકૂલા, સોનીપત, રોહતક, કરનાલ, હિસાર, સિરસા અને ફતેહાબાદમાં લાગૂ કરવામાં આવ્યું હતું પરંતુ હવે સરકારે રાજ્યભરમાં લૉકડાઉનની જાહેરાત કરી છે. આદેશમાં કહેવામાં આવ્યું છે કે લૉકડાઉન દરમિયાન લોકોએ ઘરમાં રહેવું પડશે. આ દરમિયાન કોઈ વ્યક્તિને અવરજવરની મંજૂરી મળશે નહીં. જાહેર સ્થળો પર ફરવાની મંજૂરી હશે નહીં. માત્ર જરૂરી સેવાઓને છૂટ આપવામાં આવી છે.