મુખ્ય સમાચાર
News of Friday, 3rd May 2019

ગઢચિરોલી હૂમલાની જવાબદારી લેતા નક્‍સલીઓઃ મહારાષ્‍ટ્રના દાદાપુર ગામમાં બેનરો લગાવ્‍યા

મુંબઈ: મહારાષ્ટ્રના ગઢચિરોળીમાં લેન્ડ માઈન્સ વિસ્ફોટ બાદ દાદાપુર ગામમાં નક્સલીઓએ બેનર લગાવ્યાં છે. બેનરોમાં હુમલાની જવાબદારી લેતા તેમણે તે વિસ્તારમાં સડક નિર્માણમાં લાગેલી કંપનીઓ અને ઠેકેદારોને ધમકીઓ પણ આપી છે. નક્સલીઓએ મંગળવારે રાતે કન્સ્ટ્રક્શન કંપનીનીની લગભગ 50 ગાડીઓને બાળી મૂકવાની જવાબદારી લીધી છે. તેને નક્સલી કમાન્ડર રામકો નરોટી અને અન્ય મહિલા નક્સલીઓની હત્યાનો વિરોધ ગણાવ્યો છે. આ સાથે જ અન્ય નક્સલીઓને પણ વિરોધ કરવાનું આહ્વાન બેનર દ્વારા કરાયું છે.

નક્સલીઓએ અહીં બે બેનર લગાવ્યાં છે. બીજામાં પુલ અને સડક નિર્માણનો વિરોધ કરાયો છે. આ સાથે જ કહેવાયું છે કે સરકાર અમીરોની કઠપૂતળી બની ગઈ છે. નક્સલીઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના વિરોધનું આહ્વાન કર્યું છે.

નક્સલીઓએ જે ગામમાં  બેનર લગાવ્યાં છે તે હુમલાની જગ્યાએથી 10 કિલોમીટરના અંતરે છે. હવે પોલીસે અહીં ઓપરેશન શરૂ દીધુ છે. મહારાષ્ટ્રના ડીજીપી સુબોધ જયસ્વાલે ઘટનાસ્થળની મુલાકાત લીધી. અત્રે જણાવવાનું કે બુધવારે મહારાષ્ટ્રના ગઢચિરોળીમાં એક મોટો નક્સલી હુમલો થયો. આ હુમલામાં મહારાષ્ટ્ર પોલીસની ક્વિક રિસ્પોન્સ ટીમના 15 જવાનો શહીદ થયા. જવાનોને લઈને જતી ગાડીનો ડ્રાઈવર પણ માર્યો ગયો.  નક્સલીઓએ આઈઈડી બ્લાસ્ટ કરીને પેટ્રોલિંગ કરવા જઈ રહેલી ગાડીને ઉડાવી દીધી. આ તમામ જવાનો નક્સલ વિરોધી સી-60 ગ્રુપના સભ્યો હતા.

(12:00 am IST)