મુખ્ય સમાચાર
News of Friday, 3rd April 2020

૧૪મી પછી લોકડાઉન હટાવવા ચાર અઠવાડિયાના પ્લાન પર વિચારણા

દરેકના મનમાં એક સવાલ છે કે ૨૧ દિવસ પૂર્ણ થયા બાદ શું થશે, આ અંગે વિવિધ સંસ્થા, ઉદ્યોગો, ડોકટરો, પોલીસી ઘડનારાઓ અંગે ચર્ચા ચાલી રહી છે

નવી દિલ્હી, તા.૩: કોરોના વાયરસને કારણે દેશમાં ૨૧ દિવસનું લોકડાઉન છે. આ લોકડાઉન ૧૪મી એપ્રિલના રોજ સમાપ્ત થઈ રહ્યું છે. આથી દરેકના મનમાં એક સવાલ છે કે ૨૧ દિવસ પૂર્ણ થયા બાદ શું થશે. આ અંગે વિવિધ સંસ્થા, ઉદ્યોગો, ડોકટરો, પોલીસી દ્યડનારાઓ અંગે ચર્ચા ચાલી રહી છે. ઉદ્યોગ જૂથો, રાજકીય નેતાઓ, વિચારકો અને નીતિઓ ઘડનારાઓ સાથે ચર્ચા વિચારણ કર્યા બાદ લોકડાઉનને હટાવવા માટે ચાર અઠવાડિયાના તબક્કાની વિચારણા કરવામાં આવી રહી છે. જે નીચે પ્રમાણે હોઈ શકે છે. (નોંધઃ આ અંગે કોઈ જ અધિકૃત જાહેરાત કરવામાં આવી નથી, પરંતુ આ વાત વિચારણા હેઠળ છે)

૧) આઇટી, ફાઇનાન્સિયલ સેવા, અને BPO કંપનીઃ પ્રથમ અઠવાડિયે ફકત ૨૫ ટકા સ્ટાફ, બીજા અઠવાડિયે ૫૦ ટકા સ્ટાફ, ત્રીજા અઠવાડિયા ૭૫ ટકા અને ચોથા અઠવાડિયાથી ૧૦૦ ટકા હાજરી. આ દરમિયાન ઓફિસમાં સોશિયલ ડિસ્ટન્સિંગનું ધ્યાન રખાશે. એ પ્રમાણે બેઠક વ્યવસ્થા કરવામાં આવે. બાકીના લોકો આ દરમિયાન ઘરેથી જ કામ કરશે.

૨) ઇન્ડસ્ટ્રીઝ અને ફેકટરીઓઃ ફૂડ તેમજ જીવનજરૂરી વસ્તુઓનું ઉત્પાદન કરતી કંપનીઓ પ્રથમ અઠવાડિયાથી જ ૧૦૦ ટકા ફોર્સ સાથે પ્રોડકશન શરૂ કરી શકશે. જોકે, તેમને પહેલા જ ફેકટરીઓ ચાલુ રાખવાની છૂટ આપવામાં આવી છે.

૩. જીવનજરૂરી ન હોય તેમજ કન્ઝયુમર ગુડ્સઃ આ લોકો ચાર અઠવાડિયાની ઉપર આપેલી રીતને અનુસરશે. આ લોકો એવા જ પ્લાન્ટ્સ કે મશીન શરૂ કરે જેમાં ૧૦૦ ટકા હાજરીની જરૂર ન હોય.

૪. જાહેર પરિવહનઃ જાહેર પરિવહન શરૂ કરવાથી સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવી રાખવું મુશ્કેલ છે. આથી આ મામલે ચાર અઠવાડિયા સુધી કોઈ છૂટ આપી શકાય તેમ નથી.

૫. ખાનગી ટ્રાન્સપોટઃ ખાનગી પરિવહનને છૂટ આપો પરંતુ સુરક્ષાનું ધ્યાન રાખવામાં આવે તે જરૂરી છે.

૬. માલ પરિવાહનઃ તમામ ટ્રકો તેમજ ડિલિવરી વાહનોને છૂટ આપવામાં આવે પરંતુ હાઇજિન અને સોશિયલ ડિસ્ટન્સિંગનું ધ્યાન રાખવાની સૂચના આપવામાં આવે.

૭) ઇ-કોમસઃ પ્રથમ અઠવાડિયાથી જ તમામ વસ્તુઓની ડિલિવરી અને સેવા શરૂ કરી દેવામાં આવે.

૮) સ્કૂલ/સિનેમા/મોલઃ જાહેર પરિવહનની જેમ સ્કૂલ, સિનેમા કે પછી મોલમાં સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવામાં મુશ્કેલી પડી શકે તેમ છે. આથી તેમને ચાર અઠવાડિયા સુધી બંધ જ રાખવામાં આવે. ચાર અઠવાડિયા બાદ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કોઈ નિર્ણય લેવામાં આવે.

૯) હોટસ્પોટઃ દેશમાં કોરોના વાયરસના ૨૦થી વધારે હોટસ્પોટ ધ્યાનમાં આવ્યા છે. આ તમામ હોટસ્પોટને ચાર અઠવાડિયા સુધી લોકડાઉનમાં જ રાખવામાં આવે. કારણ કે આ સ્થળો પરથીથી કોરોના વધારે ફેલાય તેવું ઇચ્છનીય નથી.

૧૦) ટ્રાફિક મેનેજમેન્ટ અને કર્મચારી ટ્રાન્સપોટઃ સોશિયલ ડિસ્ટન્સિંગની રીતે જોવામાં આવતા ખાનગી વાહનો સૌથી સુરક્ષિત છે. આથી તેમને છૂટ આપવામાં આવે. પરંતુ એવું સુનિશ્ચિત કરવામાં આવે કે ટેકનોલોજી અને બિઝનેસ સેકટરની કંપનીઓ ઓફિસ શરૂ થવાનો સમય ૭-૧૦ AM અને બંધ થવાનો સમય ૪-૭ PM વાગ્યાનો જ રાખે.

(3:30 pm IST)