હરિયાણાના કરનાલ જિલ્લાના છાત્રાલયમાં કોરોના વિસ્ફોટ : એકસાથે ૫૪ વિદ્યાર્થીઓના રિપોર્ટ પોઝિટિવ
હિસાર તા. ૩ : હરિયાણાના કરનાલ જિલ્લામાં એક સ્કૂલના છાત્રાલયમાં કોરોના કહેર વરસી પડ્યો છે. છાત્રાલયના ૫૪ વિદ્યાર્થીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા ફફડાટ ફેલાયો છે. આરોગ્ય વિભાગની ટીમ છાત્રાલય પહોંચી ગઈ છે અને છાત્રાલયને કન્ટેનમેન્ટ ઝોન તરીકે જાહેર કરવામાં આવ્યું છે. આ માહિતી કરનાલના સિવિલ સર્જન યોગેશ કુમાર શર્માએ આપી છે.
હરિયાણામાં કોરોનાથી બે દર્દીઓનું મોત નીપજયું હતું. તેમાંથી એક હિસારનો દર્દી હતો અને બીજો ફરીદાબાદનો. ત્યાં સંક્રમણના ૧૬૬ નવા કેસો હતા, જયારે ૧૫૧ દર્દીઓની રિકવરી થતાં તેમને રજા આપવામાં આવી હતી.
નવા કેસોમાં ગુરુગ્રામમાં સૌથી વધુ ૩૬, કુરુક્ષેત્રમાં ૩૨, કરનાલમાં ૨૧, પાણીપતમાં ૧૯ અને અંબાલામાં ૧૪ કેસ નોંધાયા છે. રેવારી, સિરસા, મહેન્દ્રગઢ, ભિવાની, પલવલ અને ઝજ્જરમાં એક પણ કેસ નોંધાયો નથી. બાકીના જિલ્લાઓમાં ૧૪થી ઓછા કેસ મળી આવ્યા છે.