કાશ્મીરઃ બરફના તોફાનની ચપેટમાં આર્મી પોસ્ટઃ ૩ જવાન શહીદ
કુપવાડાની ઘટનાઃ ૧ જવાન ઘાયલ
કુપવાડા તા. ૩ : જમ્મુ-કાશ્મીરના કુપવાડાના માચિલ સેકટરમાં બરફના તોફાનની ચપેટમાં ભારતીય સૈન્યની એક છાવણી આવી ગઈ હતી, જેમાં ત્રણ જવાન શહીદ થઈ ગયા છે, જયારે એક જવાન ઘાયલ થયો છે. થોડા દિવસ પહેલાં બરફવર્ષા બાદ હવામાન વિભાગે હિમસ્ખલન અંગે ચેતવણી આપી હતી. વિભાગની ચેતવણીમાં કુપવાડામાં તહેનાત સૈન્યને પણ સતર્ક રહેવા માટે કહેવામાં આવ્યું હતું.
મીડિયા રિપોર્ટ્સ મુજબ, દુર્ઘટના શુક્રવાર સાંજની છે. તોફાનની ચપેટમાં આવવાથી હવાલદાર કમલેશ સિંહ, નાયક બલવીર અને સિપાહી રાજિન્દર શહીદ થઈ ગયા હતા. જયારે ઇજાગ્રસ્ત જવાનને સારવાર માટે હોસ્પિટલ લઈ જવાયા છે. બીજી તરફ આર્મીએ બચાવ કાર્ય શરૂ કર્યું છે.
ગયા મહિને પણ હવામાન વિભાગે હિમસ્ખલનની ચેતવણી આપી હતી. ત્યાર બાદ ઘણી જગ્યાઓએ સ્પેશિયલ એડવાઇઝરી જારી કરવામાં આવી હતી. ગયા મહિને કુપવાડામાં થયેલા હિમ સ્ખલનમાં ૧૧ લોકોએ જીવ ગુમાવ્યો હતો.