યુપીના ભાજપના સાંસદ વરૂણ ગાંધીનો સરકાર સામે સવાલ, યુવાઓ ક્યાં સુધી ધિરજ રાખે
યુપીના યુવા ભાજપ નેતાનું ફરી બગાવતી વલણ : સરકારી નોકરી તો મળતી નથી અને જો કોઈ તક ઉભી થાય તો પરીક્ષાનુ પેપર લીક થઈ જાય છે : યુપીના ભાજપના સાંસદ વરૂણ ગાંધી
નવી દિલ્હી, તા.૨ : યુપીના ભાજપના સાંસદ વરૂણ ગાંધીએ ફરી એક વખત બગાવતી વલણ અપનાવીને પોતાની જ સરકાર પર સવાલો ઉભા કર્યા છે.વરૂણ ગાંધીએ પૂછ્યુ છે કે, ભારતનો યુવાન આખરે ક્યાં સુધી ધીરજ રાખે. વરૂણ ગાંધીએ કહ્યુ હતુ કે, સરકારી નોકરી તો મળતી નથી અને જો કોઈ તક ઉભી થાય તો પરીક્ષાનુ પેપર લીક થઈ જાય છે અને પરીક્ષા આપે તો વર્ષો સુધી પરિણામ આવતા નથી...પરિણામ આવે તો ગોટાળાના કારણે ભરતી રદ કરવામાં આવે છે.
તેમણે કહ્યુ હતુ કે, રેલવેની ગ્રૂપ ડીની પરીક્ષા આપનારા સવા બે કરોડ યુવાનો બે વર્ષથી પરિણામની રાહ જોઈ રહ્યા છે. સેનામાં ભરતીની પણ આ જ દશા છે ત્યારે ક્યાં સુધી ભારતનો યુવાન ધીરજ રાખશે. ઉલ્લેખનીય છે કે, યુપીની તાજેતરની શિક્ષકો માટેની પરીક્ષાનુ પેપર લીક થયુ હતુ અને વરૂણ ગાંધીએ તે સમયે પણ કહ્યુ હતુ કે, લાખો યુવાનોના ભવિષ્ય સાથે રમત થઈ રહી છે.રાજકીય સંરક્ષણ પ્રાપ્ત માફિયાઓ સામે સરકારે આકરી કાર્યવાહી કરવી જોઈએ.કારણકે મોટાભાગની શૈક્ષણિક સંસ્થાઓના માલિકો રાજકીય વગ ધરાવે છે.