આવતા વર્ષથી કાનપુરથી સીધા પહોંચી શકાશે ગુજરાતના ત્રણ બંદરો પર શરૂ થશે ડેડીકેટેડ ફ્રેટ કોરીડોર
નવી દિલ્હી, તા.૨: દેશમાં ડેડીકેટેડ ક્રેટ કોરીડોર (ડીએફસી) પર આવતા વર્ષના અંત સુધીમાં કાનપુરથી પાલનપુર સુધી સીધું સંચાલન શરૂ થઇ જશે. તેનાથી કાનપુરથી ગુજરાતના ત્રણ બંદરો ડાયરેકટ જોડાઇ જશે. આ પહેલા આ મહિને પૂર્વ ડીએફસી પર ખુર્જાથી ભાઉપુર (કાનપુર) ૩૫૩ કીલોમીટર પર માલગાડીઓનું સંચાલન શરૂ થઇ જશે. સાથે જ પશ્ચિમ કોરીડોર પર રેવાડીથી મદાર સુધીના ૩૦૬ કીલોમીટરના ભાગ પર પણ આ મહિને સંચાલન શરૂ કરી દેવાશે.
રેલ બોર્ડના અધ્યક્ષ અને સીઇઓ વિનોદકુમાર યાદવે મંગળવારે વર્ચ્યુઅલ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે ડીએફસીનું પૂર્વ અને પશ્ચિમ કોરીડેરનું કામ ઝડપભેર આગળ વધી રહ્યું છે અને આ મહિને પુર્વ અને પશ્ચિમ ડીએફસીના બે ભાગ પર માલગાડીઓનું પરિવહન શરૂ થઇ જશે. તેમાં પુર્વ ડીએફસી પર ખુર્જાથી ભાઉપુર (કાનપુર)નો ૩૫૩ કિમી લાંબો ખંડ અને પશ્ચિમ ડીએફસી પર રેવાડીથી મદારનો ૩૦૬ કિમી લાંબો ખંડ સામેલ છે. તેમણે કહ્યું કે આવતા વર્ષના અંત સુધીમાં પુર્વ અને પશ્ચિમ કોરીડોર અભ્યાસમાં જોડાઇ જશે અને કાનપુરથી ખુર્જા-દાદારી-રેવાડી-પાલનપુર સુધીનું કામ પુરૂ થઇ જશે. ડીએફસીનો આ લગભગ ૪૫ ટકા હિસ્સે હશે અને કાનપુરનો ડાયરેકટ ગુજરાતના ત્રણ બંદરો કંડલા, પીપાવાવ અને મુદ્રા સુધીની કનેકટીવીટી મળી જશે. આ ત્રણે બંદરો પાલનપુર સાથે પહેલાથી જોડાયેલા છે.