કોરોના બેફામ : આજે પણ ૧૦ના મોત : ૩૭ નવા કેસ
શહેરના કુલ કેસનો આંક ૧૧૦૫૮ થયો : ૧૦૧૦૨ દર્દી સાજા થઇ ગયા : હોસ્પિટલમાં ૧૮૭૯ બેડ ખાલી : ગઇકાલે ૮૩ને રજા અપાઇ
રાજકોટ, તા.૨ : દિવાળી બાદથી શહેરમાં એક પછી એક કોરોના કેસ વધી રહ્યા છે. સાથો સાથ મૃત્યુઆંક પણ વધતા ફફડાટ ફેલાયો છે. છેલ્લા બે દિવસથી કોરોના બેફામ થયો હોય તેમ ગઇકાલે ૧૦ના મોત બાદ આજે સવારે પણ ૮ સુધીમાં ૧૦ના મોત થયાનું નોંધાયું છે. બપોરે ૧ર વાગ્યા સુધીમાં નવા ૩૭ કેસ નોંધાયા છે.
સવારે જીલ્લા આરોગ્ય તંત્રની સત્તાવાર યાદીમાં જાહેર કર્યા મુજબ ગઇકાલે તા.૧નાં સવારે ૮થી આજે તા. ૨નાં સવારે ૮ વાગ્યા સુધી એમ છેલ્લા ર૪ કલાકમાં શહેર જીલ્લામાં કોવિડ તથા નો કોવિડ ૧૦ જેટલા વ્યકિતઓના મૃત્યુ નોંધાયા છે. જયારે ગઇકાલે થયેલ એક પણ દર્દીનું મોત જ કોરોનાથી નહી થયાનું સરકારની કોવિડ ડેથ કમીટીએ જાહેર કર્યું છે.
આજની સ્થિતિએ શહેર-જીલ્લાની કોવિડ હોસ્પિટલોમાં ૧૮૭૯ બેડ ખાલી છે.
દરમિયાન મ.ન.પા.ના આરોગ્ય વિભાગે આજે બપોરે ૧ર વાગ્યા સુધીમાં ૩૭ નવા પોઝીટીવ કેસ આવ્યાનું જણાવ્યું હતું. આ સાથે શહેરમાં કુલ ૧૧૦૫૮ કેસ થયા છે. તેની સામે ૧૦૧૦૨ લોકો સાજા થયા છે. રિવકરી રેટ ૯૧.૬૬ ટકા સુધી પહોંચ્યો છે.
જયારે આજ સુધીમાં ૪,૪૨,૨૩૫ લોકોનાં ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી ૧૧૦૫૮ સંક્રમીત થતા પોઝિટિવ રેટ ૨.૪૯ ટકા થયો છે.
- શહેરમાં આજની સ્થિતિએ ૬૩ માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન
રાજકોટ : શહેરમાં કોરોના સંક્રમિત વિસ્તારોમાં આજે ૬૩ માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન કાર્યરત છે. જેમાં જાનકી પાર્ક કાલાવાડ રોડ, આદર્શ સોસાયટી રેસકોર્ષ રીંગ રોડ, રાધે હાઇટ્સ ગોંડલ રોડ, કસ્તુરી પ્રાઇડ પંચવટી મેઇન રોડ, શ્રી રામ પાર્ક આર.ટી.ઓ. પાછળ, રોક હિલ એપાર્ટમેન્ટ અમીન માર્ગ, રાધા ક્રિષ્ના સોસાયટી ઢેબર રોડ, સોમનાથ સોસાયટી મોરબી રોડ, યોગીનગર ૧૫૦ ફીટ રીંગ રોડ વિગેરેનો સમાવેશ થાય છે.