મુખ્ય સમાચાર
News of Wednesday, 2nd December 2020

કોરોના દર્દીના ઘરની બહાર પોસ્ટર લગાવવું એ અછૂત જેવો વ્યવહાર

કોરોના દર્દીઓ મામલે કરાયેલી જનહિતની એક અરજી પર સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે મહત્વની ટિપ્પણી કરી

નવી દિલ્હી,તા.૨:કોરોના દર્દીઓના ઘરની બહાર પોસ્ટર લગાવવા સામે થયેલી અરજીની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે ટિપ્પણી કરતા કહ્યું કે, આવા દર્દીઓના ઘરની બહાર પોસ્ટર લગાવવાથી ખોટી માન્યતા ઊભી થઈ રહી છે આવા લોકોના ઘરની બહાર જયારે પોસ્ટર લગાવાય છે તો બીજા લોકો તેમની સાથે અછૂત જેવો વ્યવહાર કરે છે. સુપ્રીમ કોર્ટના જસ્ટિસ અશોક ભૂષણની વડપણ હેઠળની બેંચે મામલાની સુનાવણી દરમિયાન આ ટિપ્પણી કરી.

મામલાની સુનાવણી દરમિયાન કેન્દ્ર સરકાર તરફથી પોતના જવાબમાં કહેવાયું છે કે, તેમની તરફથી આ અંગે આવો કોઈ આદેશ અપાયો નથી. જોકે, કેન્દ્ર સરકાર તરફથી સોલિસિટર જનરલ તુષાર મેહતાએ કહ્યું કે, જયાં પોસ્ટર લગાવાય છે, ત્યાં બદનામ કરવા કે એવો કોઈ ઈરાદે નહીં કરાતું હોય, પરંતુ તકેદારીના ભાગરૂપે પોસ્ટર લગાવાતા હશે, એવું શકય છે. જો આવા દર્દીના પરિવાર પર કોઈપણ પ્રકારનું લાંછન લગાવવાની વાત છે તો કેન્દ્ર આવા દર્દીઓના ઘરોની બહાર પોસ્ટર લગાવવાના પક્ષમાં નથી. સુપ્રીમ કોર્ટે અપીલ કરનારને કહ્યું કે, તે કેન્દ્ર સરકારના જવાબ પર પોતાનો પક્ષ રજૂ કરે. સુનાવણી હવે ગુરુવારે થશે.

સુપ્રીમ કોર્ટે કોવિડ-૧૯ દર્દીના ઘરની બહાર પોસ્ટર લગાવવાની જોગવાઈ રદ કરવા માટે કરાયેલી અરજી પર સુનાવણી દરમિયાન સરકારને પૂછ્યુ હતું કે, કોવિડ દર્દીના ઘરની બહાર પોસ્ટર ચોંટાડવાની જોગવાઈ રદ કેમ ન થવી જોઈએ? સુપ્રીમ કોર્ટમાં પાંચ નવેમ્બરે જસ્ટિસ અશોક ભૂષણના વડપણ હેઠળની બેંચે અપીલ કરનારાને કહ્યું હતું કે, તે અપીલની કોપી સોલિસિટર જનરલ તુષાર મેહતાને આપે, જેથી કેન્દ્ર સરકારનો પક્ષ રાખી શકે. જણાવી દઈએ કે, વકીલ કુશ કાલરાએ કોવિડ-૧૯ના દર્દીઓના ઘરની બહાર પોસ્ટર લગવવાની જોગવાઈને કોર્ટમાં અરજી કરી પડકારી છે.

સુપ્રીમ કોર્ટમાં કરાયેલી અરજીમાં દલીલ કરાઈ છે કે, આ પ્રકારની જોગવાઈથી કોવિડ-૧૯ના દર્દીઓના પ્રાઈવસીના અધિકારનું ઉલ્લંઘન થઈ રહ્યું છે અને તેમના માન-સન્માન અને ગરિમાની સાથે જીવન જીવવાના અધિકાર એટલે કે કલમ-૨૧નાં ઉલ્લંઘન થઈ રહ્યું છે. અપીલકર્તાએ વિનંતી કરી છે કે, કેન્દ્ર શાસિત પ્રદેશો અને રાજયોના આ નિર્ણયને રદ કરવામાં આવે, જે અંતર્ગત કોવિડ-૧૯ દર્દીના ઘરની બહાર પોસ્ટર લગાવવાની જોગવાઈ છે. અપીલકર્તાએ ય્ષ્શ્ દ્વારા વોટ્સએપ ગ્રુપમાં કોરોનાના દર્દીઓની યાદી જાહેર કરવા પર રોક લગાવવાની પણ વિનંતી કરી છે. અપીલકર્તાએ કહ્યું કે, આ પ્રકારની જોગવાઈ અને કાર્યવાહીથી લોકોનું તેમના પર ધ્યાન જાય છે અને તેમની પ્રાઈવસીનું ઉલ્લંઘન થાય છે.

(9:38 am IST)