મુખ્ય સમાચાર
News of Monday, 2nd November 2020

લાલકૃષ્ણ અડવાણી અને અમરિંદર સિંહને જાનથી મારી નાખવાની ધમકી

ખાલિસ્તાની આતંકી સંગઠન 'જસ્ટિસ ફોર શીખ'એ ફરી એકવાર વિવાદાસ્પદ પોસ્ટર જાહેર કર્યા છે

નવી દિલ્હી, તા.૨: ખાલિસ્તાની આતંકી સંગઠન 'જસ્ટિસ ફોર શીખ'એ ફરી એકવાર વિવાદાસ્પદ પોસ્ટર જાહેર કર્યા છે. તેમણે વિવાદાસ્પદ પોસ્ટર જાહેર કરીને પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ સહિત પૂર્વ વડાપ્રધાન તથા બીજેપીના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીની વિરુદ્ઘ મોતનો ફતવો જાહેર કર્યો છે. જોકે આ મામલા પર સુરક્ષા વ્યવસ્થાને ધ્યાને લઈ ભારતની ઇન્ટેલિજન્સ એજન્સી (ત્ગ્) સતર્ક છે. એજન્સીઓ આ મામલા પર ગંભીરતાથી નજર રાખી રહી છે. ભારત સરકાર અને ઇન્ટેલિજન્સ એજન્સીઓ પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ અને લાલકૃષ્ણ અડવાણીની સુરક્ષા સાથે જોડાયેલા મુદ્દાઓને પણ સતર્કતા સાથે મોનિટરિંગ કરી રહી છે.

મૂળે, ૩૧ ઓકટોબર ૧૯૮૪ના રોજ ઈન્દિરા ગાંધીની હત્યા બાદ ૧ નવેમ્બર અને ૨ નવેમ્બરથી જ રાજધાનીમાં શીખ વિરોધી તોફાનોની શરૂઆત થઈ હતી, જેમાં અસંખ્ય શીખ ધર્મ સમુદાયના લોકોને તોફાનો દરમિયાન મારવામાં આવ્યા હતા. આજે પણ તે તોફાનોના નામ પર જસ્ટિસ ફોર શીખ સંસ્થાના વડા આતંકી ગુરપતવંત સિંહ પન્નૂ પંજાબ-દિલ્હીથી લઈને વિદેશમાં પણ ભારત વિરોધી ગતિવિધિઓને અંજામ આપી રહ્યા છે.

દર વર્ષે શીખ તોફાનોની વરસી પર આતંકી પન્નૂ આવી જ ધમકીઓ આપતો રહે છે. પરંતુ જે રીતે છેલ્લા કેટલાક દિવસોથી તે અમેરિકાના શહેર ન્યૂયોર્કમાં બેસીને ભારત વિરોધી ગતિવિધિઓ અને નેતાઓ પર હુમલાની તૈયારી અને હત્યા કરનારને બદલામાં ઈનામની રકમ આપવાની જાહેરાત કરી રહ્યો છે, આ મામલા પર ભારત સરકાર પણ વિશેષ ધ્યાન આપી રહી છે.

આ મામલે ઈન્ડિયન વર્લ્ડ ફોરમના સેક્રેટરી જનરલ પુનીત સિંહ ચંડોકે પણ નિવેદન આપતાં કહ્યું કે આ આતંકી ગુરપતવંત સિંહ પન્નૂ આજ સુધી કોઈ પણ શીખ સમુદાયના એ તોફાન પીડિતોમાંથી એક વ્યકિતની પણ કોઈ કાયદાકિય મદદ કે કોઈ અન્ય પ્રકારથી મદદ નથી કરી. ન તો પન્નૂને આવો કરવાનો કોઈ ઈરાદો છે. પરંતુ તોફાનો પીડિતોને ભડકાવવાનો પ્રયાસ તે હંમેશા કરતો રહે છે. તે પાકિસ્તાની ઇન્ટેલિજન્સ એજન્સીઓના હાથની કથપૂતળી બનીને તેના ઈશારે ભારત વિરોધી ગતિવિધિઓને અંજામ આપવાનો પ્રયાસ કરતો રહે છે.

(3:37 pm IST)