એક હજાર વર્ષ સુધી અખંડિત રહેશે રામમંદિર
આઇઆઇટી ચેન્નઇના નિષ્ણાંતો કરી રહ્યા છે અભ્યાસ
અયોધ્યા : શ્રી રામજન્મભૂમિ મંદિર નિર્માણનો બધો દારોમદાર તેના પાયા પર છે. ખરેખર તો શ્રીરામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટ ઇચ્છે છે કે અયોધ્યામાં એવું મંદિર બને જે આવનારા એક હજાર વર્ષ સુધી હલે નહીં અને અખંડિત રહે. એટલા માટે મંદિરના પાયાની મજબૂતી માટે બધા પ્રયત્નો કરાઇ રહ્યા છે. મંદિરના પાયાની મજબુતીને પરખવા માટે તૈયાર કરાયેલ ટેસ્ટ પાઇલીંગનો અત્યારે આઇઆઇટી ચેન્નઇના નિષ્ણાંતો ઉંડો અભ્યાસ કરી રહ્યા છે. મંદિર નિર્માણ શરૂ કરવા માટે આ રિપોર્ટની રાહ જોવાઇ રહી છે.
સુત્રોનું માનીએ તો મંદિર નિર્માણની ઉતાવળ છતાં, ટ્રસ્ટ પાયાની મજબુતીમાં કોઇ સમજુતિ કરવા નથી માંગતુ અને આ બાબતે જેમને કામ સોંપાયેલુ છે તેમની પાસેથી લેખિત ગેરંટી ઇચ્છે છે કે મંદિર એક હજાર વર્ષ સુધી અડીખમ અને અખંડિત રહે તેમજ સૌદર્ય અને ભવ્યતાની દ્રષ્ટિએ પણ બેમિસાલ હોય.