બાબાએ ૪ માસમાં ર૪૧ કરોડની કોરોનિલ વેંચી
મદ્રાસ હાઇકોર્ટના આદેશને ઘોળીને પી ગયું પતંજલિ
નવી દિલ્હી તા. ર :.. દેશમાં કોરોના મહામારી વચ્ચે બાબા રામદેવની કંપની પતંજલિએ ફકત ચાર મહિનામાં ૮પ લાખથી વધારે કોરોનીલ કીટ વેચી નાખી છે. કંપનીના આંકડાઓ અનુસાર, આ સમયગાળામાં વેચાયેલ આ દવાનું ફુલ વેચાણ લગભગ ર૪૧ કરોડ રૂપિયા છે.
કંપનીના ઓફિશ્યલ આંકડાઓ અનુસાર, ૧૮ ઓકટોબરથી ર૩ જૂન વચ્ચે ર૩.પ૪ લાખ કોરોનીલ કીટ વેચવામાં આવી હતી. કોરોનીલને કોવિદ-૧૯ ના ઇલાજ તરીકે ર૩ જૂને લોંચ કરવામાં આવી હતી. જો કે હજુ સુધી એ સાબિત નથી થયું કે તે કોરોનાના ઇલાજમાં કારગત છે કે નહીં. તેના માર્કેટમાં આવ્યાના થોડા સમય પછીથી કોરોનાની સારવાર અંગેના પોતાના દાવાઓના કરણે કંપની વિવાદોમાં ઘેરાઇ હતી. કંપનીના કલીનીકલ ટ્રાયલ અને તેની સાથે સંકળાયેલા આંકડાઓ સામે સવાલો ઉભા થયા હતાં.
કંપનીએ તેને બનાવતા પહેલા ઉધરસ, તાવ અને રોગ પ્રતિકારક શકિત વધારનારી દવાના રૂપમાં બનાવવાની મંજૂરી માંગી હતી. ર૪ જુને ઉતરાખંડ આયુષ વિભાગે પતંજલીને નોટીસ મોકલીને આ અંગે ૭ દિવસમાં જવાબ માંગ્યો હતો. ઉતરાખંડ આયુષ વિભાગના લાયસન્સ અધિકારીએ જાતે સામે આવીને કહયું હતું કે તેમના તરફથી પતંજલિને ઇમ્યુનીટી બુસ્ટર તૈયાર કરવાનું લાયસન્સ અપાયું હતું.
તો, કોરોનિલના લોચીંગમાં બાબા રામદેવે જણાવ્યું હતું કે આ દવા પતંજલિ સ્ટોર પર મળશે. કંપનીએ એપની મદદથી ઓનલાઇન ઓર્ડર બુક કરવાની વાત કરી હતી. કંપનીનો દાવો હતો કે આ દવાની ડીલીવરી ફકત ર કલાકમાં થઇ જશે. આ દવાની કિંમત પ૪પ રૂપિય રાખવામાં આવી હતી.
લોંચીંંગ પછી આયુષ મંત્રાલયે કંપનીને કોરોનિલ અંગે કોરોનાના ઇલાજ બાબતની જાહેરાત બંધ કરવા કહયું હતું. સરકારનું કહેવું હતું કે તે આ દવાને ઉધરસ, તાવ અને ઇમ્યુનીટી બુસ્ટર દવા તરીકે જ વેચે.
આ પહેલા પતંજલી દ્વારા 'કોરોનીલ' બ્રાંડનો ઉપયોગ કરવા માટે મદ્રાસ હાઇકોર્ટે ૧૦ લાખ રૂપિયાનો દંડ કર્યો હતો. આ સાથે જ હાઇકોર્ટે કોરોનીલ શબ્દનો ઉપયોગ બંધ કરવાના આદેશ પણ આપ્યા હતાં.