હિઝબુલ મુજાહિદ્દીનના ચીફ કમાન્ડર સૈફુલ્લાહને ફૂંકી માર્યો: સાથીદારને જીવતો પકડી લીધો
(સુરેશ એસ દુગ્ગર): સુરક્ષા દળોને આજે કાશ્મીરમાં મોટી સફળતા મળી છે, અને તેઓએ હિઝબુલ મુજાહિદ્દીનના કમાન્ડર-ઇન-ચીફ ડો. સૈફુલ્લાહની ફૂંકી મારેલ છે. તેના ઉપર લાખો રૂપિયાનું ઇનામ હતું. જો કે, એક આતંકવાદી એન્કાઉન્ટર સ્થળ પરથી જીવતો પકડાયો છે.
માહિતી અનુસાર પોલીસને બાતમી મળી હતી કે આતંકીઓ શ્રીનગરના રંગરેથ વિસ્તારમાં છુપાયેલા છે. તુરત જ પોલીસ અને સુરક્ષા દળોએ આતંકીઓના આ ઠેકાણાઓને ઘેરી લેવા સંયુક્ત કાર્યવાહી શરૂ કરી હતી.
આ દરમિયાન આતંકીઓએ સુરક્ષા દળો પર ફાયરિંગ શરૂ કરી દીધેલ. સુરક્ષા દળોએ પહેલા તો છુપાયેલા આતંકીઓને આત્મસમર્પણ કરવાની તક આપી હતી. વારંવાર આતંકીઓને આત્મસમર્પણ કરવાનું કહેવામાં આવ્યું પરંતુ આતંકીઓએ તેની અવગણના કરી અને સુરક્ષા દળો પર ફાયરિંગ શરૂ કરી દીધેલ. જેના જવાબમાં પોલીસ અને સુરક્ષા દળોએ પણ સંયુક્ત કાર્યવાહી દરમિયાન આતંકવાદીઓ વિરુદ્ધ ફાયરિંગ શરૂ કરેલ.
કેટલાક કલાકોના ઘર્ષણ પછી, સુરક્ષા દળોએ હિઝબુલ મુજાહિદ્દીનના મુખ્ય કમાન્ડરને ઠાર માર્યો હતો. પહેલા તો સુરક્ષા દળોને વિશ્વાસ જ નહોતો બેઠો, પણ જ્યારે પાછળથી તેની ઓળખ થઈ, ત્યારે સુરક્ષા અધિકારીઓ ખુશખુશાલ થઈ ગયા હતા. કારણ કે આ વર્ષે મે મહિનામાં હિઝબુલ મુજાહિદ્દીનના વડા રિયાઝ નાઇકુના એન્કાઉન્ટર પછી, આ ડો. સૈફુલ્લાહ સુરક્ષા દળો માટે માથાનો દુખાવો બની ગયેલ, કારણ કે તેમણે ટીઆરએફના નામે પણ આતંક ફેલાવ્યો હતો.
અધિકારીઓએ જણાવ્યું હતું કે ગયા મહિને, સુરક્ષા દળોએ આતંકવાદીઓની શરણાગતિ મેળવવામાં સફળતા મળી હતી. જેમાં તેમના સબંધીઓએ પણ મહત્વની ભૂમિકા ભજવી હતી. જો કે, હજી સુધી સ્પષ્ટ થઈ શક્યું નથી કે જીવંત ઝડપાયેલા આતંકવાદી સ્થાનિક છે કે વિદેશી છે. પોલીસ મહાનિર્દેશક દિલબાગસિંહે કહ્યું હતું કે ધરપકડ કરાયેલ વ્યક્તિ શંકાસ્પદ છે અને તેની પૂછપરછ કરવામાં આવી રહી છે.