મુખ્ય સમાચાર
News of Sunday, 2nd October 2022

યુપીના કાનપુરમાં શ્રદ્ધાળુઓથી ભરેલી ટ્રેક્ટ્રર ટ્રોલીને નડ્યો ગોઝારો અકસ્‍માતઃ ટ્રેક્ટ્રર તળાવમાં ખાબક્યુઃ રપ લોકોનો ભોગ લીધો

મૃતકોમાં 11 બાળકો, 11 મહિલાઓ તથા બીજા 3 લોકો સામેલ હતાઃ દુર્ઘટનામાં બે ડઝનથી પણ વધારે લોકો ઘાયલઃ મૃતાંક વધી શકે છેઃ 50 લોકો ટ્રેક્ટરમાં બેસીને ઉન્નાવના ચંદ્રિકા દેવી મંદિરેથી પરત ફરી રહ્યાં હતા ત્યારે કાનપુરના ઘાટમપુર વિસ્તાર નજીક દુર્ઘટના સર્જાઈ હતી. રાતે ઓછી લાઈટને કારણે બરાબર ન દેખાતા ટ્રેક્ટર તળાવમાં ખાબક્યું

નવી દિલ્‍હીઃ  યુપીના કાનપુર જિલ્લામાં એક મોટો અકસ્માત થયો છે. ઉત્તર પ્રદેશના કાનપુર જિલ્લામાં એક ટ્રેક્ટર ટ્રોલી પલટી ખાઈને તળાવમાં પડી જતાં શનિવારે ઓછામાં ઓછા રપ યાત્રાળુઓના મોત થયા હતા. મૃતકોમાં 11 બાળકો, 11 મહિલાઓ તથા બીજા 3 લોકો સામેલ હતા. દુર્ઘટનામાં બે ડઝનથી પણ વધારે લોકો ઘાયલ થયા છે જેમાંના કેટલાક ગંભીર છે તેથી મૃતાંક વધી શકે છે. 50 લોકો ટ્રેક્ટરમાં બેસીને ઉન્નાવના ચંદ્રિકા દેવી મંદિરેથી પરત ફરી રહ્યાં હતા ત્યારે કાનપુરના ઘાટમપુર વિસ્તાર નજીક દુર્ઘટના સર્જાઈ હતી. રાતે ઓછી લાઈટને કારણે બરાબર ન દેખાતા ટ્રેક્ટર તળાવમાં ખાબક્યું હતું આ જોઈને રાડારાડ મચી હતી. તળાવમાં પાણી ઘણું હોવાથી લોકો ડૂબવા લાગ્યાં હતા જે લોકોને તરતા આવડતું હતું તેઓ બહાર આવી ગયા હતા આ દરમિયાન 25 લોકો તો ડૂબી ગયા હતા જેમની લાશ બહાર કાઢવામાં આવી હતી.

દુર્ઘટનામાં કુલ 25 લોકોના મોત થયા છે જેમાં 11 બાળકો અને 11 મહિલાઓ તથા બીજા 3 લોકો સામેલ છે. આ તમામ લોકો ફતેહપુર દેવીના દર્શન કરીને પરત આવી રહ્યાં હતા ત્યારે આ દુર્ઘટના સર્જાઈ હતી.  ટ્રેક્ટરની લાઈટ ઓછી હોવાથી ડ્રાઈવરને બરાબર દેખાતું નહોતું અને તેને કારણે આવો અકસ્માત થયો હતો. ઘટના ખબર મળતા આજુબાજુના લોકો ઘટનાસ્થળે દોડી ગયા હતા અને લોકોને તળાવમાંથી બહાર કાઢવાનું શરુ કર્યું હતું.  આ તળાવમાંથી અત્યાર સુધીમાં 22 લોકોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે.

હજુ પણ ઘણા ઘાયલ છે, જેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ટ્રેક્ટર-ટ્રોલીમાં સવાર શ્રદ્ધાળુઓ સાધ પોલીસ સ્ટેશન વિસ્તારના કોરથા ગામના રહેવાસી છે. બધા ફતેહપુરના ચંદ્રિકા દેવી દેવી મંદિરમાં ગયા હતા. પરત ફરતી વખતે સાધ અને ગંભીરપુર ગામની વચ્ચે રસ્તાની બાજુમાં આવેલા તળાવમાં ટ્રોલી પલટી ગઈ હતી. કાનપુર દુર્ઘટનામાં 22 લોકોના મોત પર સીએમ યોગી આદિત્યનાથે દુઃખ વ્યક્ત કર્યું છે. આ મામલાની નોંધ લઈને સીએમ યોગીએ અધિકારીઓને તાત્કાલિક ઘટના સ્થળે મોકલી દીધા છે. સીએમ યોગીએ અધિકારીઓને આદેશ આપ્યો છે કે ઘાયલોને યોગ્ય સારવાર આપવામાં આવે. આ ઘટના પર પ્રધાનમંત્રી મોદીએ ટ્વિટ કરીને દુખ વ્યક્ત કર્યું હતું. પીએમ મોદીએ મૃતકોના પરિવારજનોને 2 લાખ અને ઘાયલોને 50,000ના વળતરની જાહેરાત કરી હતી.

(11:59 am IST)