ભારતીય બેન્કીંગ સિસ્ટમ સુરક્ષિત છેઃRBI
અફવાઓથી ગભરાવાની જરૂર નથી
મુંબઈ, તા.૨: ભારતીય રિઝર્વ બેંક (RBI)એ મંગળવારે દેશવાસીઓને આશ્વસ્ત કર્યા કે, ભારતીય બેંકિંગ સિસ્ટમ સંપૂર્ણ રીતે સુરક્ષિત છે અને અફવાઓથી ગભરાવાની જરૂર નથી. RBIનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જયારે પંજાબ એન્ડ મહારાષ્ટ્ર કો-ઓપરેટિવ (PMC) બેંક ભારે અનિયમિતતાઓને કારણે સંકટોમાં ઘેરાયેલી છે અને બેંકિંગ સેકટર સાથે જોડાયેલી નકારાત્મક ખબરો વચ્ચે બિઝનેસ દરમિયાન નિફટી બેંક ઈન્ડેકસમાં ૧.૩૦ ટકાનો ઘટાડો થયો છે.
RBIએ ટ્વીટ કર્યું, 'સરકારી બેંકો સહિત કેટલીક બેંકો અંગે કેટલીક જગ્યાએ અફવાઓ ચાલી રહી છે. આનાથી બેંકોમાં ડિપોઝિટ કરનારા લોકો ચિંતિત છે. કેન્દ્રીય બેંક સામાન્ય લોકોને આશ્વસ્ત કરવા માગે છે કે, ભારતીય બેંકિંગ સિસ્ટમ સુરક્ષિત અને સ્થિર છે અને આવી અફવાઓને લીધે ગભરાવાની જરૂર નથી.'
ફાયનાન્શિયલ સિસ્ટમમાં દબાણને કારણે BSE અને NSEમાં મંગળવારે બેંકિંગ કંપનીઓના શેરોને ભારે નુકસાન વેઠવું પડ્યું. પ્રાઈવેટ સેકટરમાં યશ બેંકનો શેર ૨૨ ટકાથી વધુ તૂટ્યો જયારે RBL, ઈન્ડસઈન્ડ બેંક, SBI, આઈડીએફસી ફર્સ્ટ અને પંજાબ નેશનલ બેંકોના શેર્સ ફલ્ચ્માં પાંચ ટકા સુધી તૂટી ગયા.
જણાવી દઈએ કે, હાઉસિંગ એન્ડ ઈન્ફ્રાસ્ટ્રકચર લિમિટેડ (HDIL) કંપનીએ PMC બેંક પાસેથી આશરે ૨૫૦૦ કરોડ રૂપિયાની લોન લીધી હતી અને ચૂકવી નહીં. કંપનીએ આ બાકી લોનને બેંકે RBIના ગાઈડલાઈન છતાં NPAમાં ન નાખી. એ પણ ત્યારે જયારે કંપની લોન ચૂકવવામાં સતત નિષ્ફળ થતી રહી. ત્યારબાદ બેંક પોતાની સમસ્યા અંગે RBI પહોંચી, જેના પર તેણે જમાકર્તાઓના બેંકમાંથી પૈસા કાઢવા પર ૧૦ હજારની લિમિટ લગાવી દીધી છે. આ ઘટના બાદ જમાકર્તાઓએ ભારે રોષ છે અને તેઓ બેંકિંગ સિસ્ટમમાં જમા પોતાના પૈસા અંગે ચિંતિંત છે.(૨૩.૭)