સંઘ અને ભાજપ અયોધ્યામાં રામમંદિર બનાવવા પ્રતિબદ્ધ : વિપક્ષો ખુલ્લેઆમ વિરોધ કરી શકે નહીં : મોહન ભાગવતજી
સરકારની કેટલીક મર્યાદા હોય છે તેની વચ્ચે કામ કરવાનું હોય જયારે સંત પુરોહિતો મર્યાદાથી બંધાયેલા હોતા નથી
નવી દિલ્હી :રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રમુખ મોહન ભાગવતે રામમંદિર વિશે નિવેદન કરતા કહ્યું કે વિપક્ષી પાર્ટી અયોધ્યામાં રામ મંદિર નિર્માણનો ખુલેઆમ વિરોધ કરી શકે નહીં. કારણ કે તેમને ખ્યાલ છે કે દેશના બહુસંખ્યક સમુદાય ભગવાન રામની પૂજા કરે છે. પરંતુ અમુક બાબતોમાં સમય લાગે છે.
પતંજલિ યોગપીઠમાં આયોજીત એક કાર્યક્રમમાં ભાગવતે કહ્યું કે આરએસએસ અને ભાજપ અયોધ્યામાં રામ મંદિર બનાવવા માટે પ્રતિબદ્ધ છે પરંતુ કેટલીક વસ્તુઓમાં સમય લાગે છે.
ભાગવતે એમ પણ કહ્યું કે દરેક સરકારની કેટલીક મર્યાદા હોય છે અને તેની વચ્ચે કામ કરવાનું હોય છે. જો કે સંત અને પુરોહિત આ મર્યાદામાં બંધાયેલા હોતા નથી. તેમને ધર્મ, દેશ અને સમાજના ઉત્થાન માટે કામ કરવું જોઇએ. સંઘ પ્રમુખ મોહન ભાગવત સોમવારે એક વિશેષ કાર્યક્રમ સાધુ સ્વાધ્યાય સંગમના સમાપન પ્રસંગે પતંજલિ યોગપીઠ આવ્યા હતા.