મુખ્ય સમાચાર
News of Sunday, 2nd August 2020

મુખ્યમંત્રી રૂપાણીના ૬૪માં જન્મદિવસે મોદીની શુભેચ્છા

રવિવારે ગાંધીનગર ૫૬મો સ્થાપના દિવસ પણ છે : વડાપ્રધાને ગુજરાતની વિકાસ યાત્રા પ્રગતિ કરી રહી છે તે માટે શુભેચ્છાઓ આપીને તેઓના દિર્ઘાયુની કામના કરી

અમદાવાદ, તા. ૨ : આજે ગુજરાતનું પાટનગર બે મહત્વની ઘટનાઓને ઉજવી રહ્યું છે. આજે ગાંધીનગરનો ૫૬મો સ્થાપના દિવસ છે. સાથે જ ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીનો જન્મદિવસ પણ છે. જોકે, કોરોનાકાળમાં આ મહત્વની ઘટનાઓની ઉજવી શકાઈ નથી રહી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને આજે તેમના જન્મ દિવસે શુભેચ્છાઓ પાઠવી અભિનંદન આપ્યા છે. વડાપ્રધાને મુખ્યમંત્રીના નેતૃત્વમાં ગુજરાત રાજ્યની વિકાસ યાત્રા ઉત્તરોત્તર પ્રગતિ  કરી રહી છે તે માટે પણ અભિનંદન આપીને તેઓના દીર્ઘાયુ અને સ્વાસ્થ્યપ્રદ જીવનની કામના કરી છે. તો ટ્વિટર પર મુખ્યમંત્રીને જન્મદિવસની અઢળક શુભકામનાઓ દેશવિદેશમાંથી મળી રહી છે. ટ્વિટર પર હાલ CM of Gujarat ટ્રેન્ડ કરીરહ્યુંછે.

આજે ગાંધીનગરનો ૫૬ મો સ્થાપના દિવસ છે. ત્યારે કોરોનાની મહામારીની વચ્ચે સાદગીપૂર્ણ રીતે સ્થાપના દિવસની કરાઈ ઉજવણી કરાઈ હતી. ૫૬ વર્ષમાં ગાંધીનગરની સિકલ બદલાઈ ગઈ છે. ૫ હજારની વસ્તી વધીને ૫ લાખની વસ્તી ધરાવતું શહેર બન્યું છે. ગાંધીનગરમાં આવેલી GEB કોલોની ખાતે જ્યાં શહેરની પ્રથમ ઈંટ મુકાઈ હતી, ત્યાં આ વર્ષે પણ સ્થાપના દિવસની ઉજવણી કરાઈ હતી. આ પ્રસંગે ગાંધીનગરના મેયર રીટાબેન પટેલ, પ્રદીપસિંહ જાડેજા ઉપસ્થિત રહ્યા હતા. તો બીજી તરફ, આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીનો ૬૪મો જન્મ દિવસ પણ છે. ત્યારે પ્રજાના સેવક અને કોમન મેન તરીકેની છાપ ધરાવતા વિજય રૂપાણી આ જન્મદિવસ પણ પ્રજાહિતલક્ષી કાર્યોને સમર્પિત કરવાના છે. મુખ્યમંત્રી આજે રવિવાર ૨ ઓગસ્ટના દિવસે ૬૪માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે. મુખ્યમંત્રીએ સી.એમ-કોમન મેન તરીકેની એક આગવી ઓળખ સૌના હૃદયમાં ઊભી કરી છે.

           તેઓ પ્રજાહિતના કામો દ્વારા અને આપત્તિના સમયે પ્રજાની પડખે ઊભા રહી સામાન્ય માનવીની રોજી-રોટીની ચિંતા કરનારા સંવેદનશીલ વ્યક્તિ તરીકે પ્રજા-માનસમાં લોકપ્રિય છે. વિજય રૂપાણી પોતાનો જન્મદિવસ આવા જ પ્રજાહિત અને પ્રજાકિય કામોની સંવેદના સાથે તેમજ વિપદાની વેળાએ લોકોની પડખે રહીને મનાવતા આવ્યા છે. ભૂતકાળમાં જ્યારે બનાસકાંઠા ઉત્તર ગુજરાતમાં પૂર અને વરસાદનો પ્રકોપ થયેલો ત્યારે પણ મુખ્યમંત્રીએ પોતાનો જન્મદિવસ પૂર-આપત્તિગ્રસ્તોની વચ્ચે તેમના બચાવ સહાય કાર્યોમાં સતત ૫ દિવસ બનાસકાઠામાં રહીને સેવા કાર્યોમાં મનાવ્યો હતો. વિજય રૂપાણી આજે પોતાના ૬૪માં જન્મદિવસે પણ સુરતમાં કોરોના સંક્રમણ-નિયંત્રણ-સારવારની સમીક્ષા અને સુરતની સ્ટેમસેલ અને કિડની હોસ્પિટલ જે ડેડિકેડેટ કોવિડ હોસ્પિટલ તરીકે કાર્યરત છે તેમાં સારવાર લઇ રહેલા કોરોના સંક્રમિત દર્દીઓની ખબર અંતર પૂછવા બપોરે સુરત જવાના છે. મુખ્યમંત્રી પોતાનો ૬૪મો જન્મદિવસ આમ સમગ્રતયા પ્રજાહિત કાર્યો, નાના માણસોની સંવેદના અને વિશ્વવ્યાપી મહામારી કોરોનાની સુરતમાં સ્થિતિ અને સંક્રમિતોની સારવાર તથા કોરોના સંક્રમણ નિયંત્રણ અંગે સુરતમાં ઉચ્ચસ્તરીય સમીક્ષા-મુલાકાતથી પ્રજાહિતની ચિત્તા અને પ્રજાહિતના કલ્યાણ કાર્યો સાથે માનવાશે.

(7:57 pm IST)