દિગ્ગજ રાજકીય નેતા અમરસિંહના અવસાન બદલ ટવીટર મારફત શ્રધ્ધાંજલી પાઠવતા ફિલ્મ સ્ટાર અમિતાભ બચ્ચન
ટવીટર પર તસ્વીર પણ શેર કરી
નવી દિલ્હીઃ દિગ્ગજ નેતા અને પોતાના સમયમાં બોલીવુડ ઇન્ડસ્ટ્રીઝમાં મોટી ઓળખાણ રાખનાર અમર સિંહનું નિધન થઈ ગયું છે. તેઓ 64 વર્ષના હતા અને સિંગાપુરમાં સારવાર ચાલી રહી હતી. અમર સિંહના નિધન બાદ તેમને લોકો શ્રદ્ધાંજલિ આપી રહ્યાં છે. મનોરંજનની દુનિયામાંથી પણ તેમને યાદ કરવામાં આવી રહ્યાં છે. એક જમાનામાં અમર સિંહના નજીકના રહેલા અમિતાભ બચ્ચને સોશિયલ મીડિયા પર એક તસવીર શેર કરી છે. પરંતુ તેમાં તેમણે કંઈ લખ્યું નથી. પરંતુ યૂઝરોને લાગી રહ્યું છે કે અમિતાભ બચ્ચનની માથુ ઝૂકાવેલી આ પોસ્ટ અમર સિંહ માટે છે.
કોરોના વાયરસથી સંક્રમિત થયા બાદથી અમિતાભ બચ્ચન મુંબઈની નાણાવટી હોસ્પિટલમાં દાખલ છે. અહીંથી તેઓ સોશિયલ મીડિયા દ્વારા પોતાના પ્રશંસકો સાથે જોડાયેલા છે. તેઓ કોરોનાને લઈને પોતાના અનુભવો ફેન્સની સાથે શેર કરી રહ્યાં છે. તો આજે મોટા નેતા અને અમિતાભના જૂના મિત્ર અમર સિંહનું નિધન થઈ ગયું. ત્યારબાદ અભિનેતાએ માથુ ઝૂકાવેલી પોતાની એક બ્લેક એન્ડ વ્હાઇટ તસવીર શેર કરી છે. બિગ બીએ ફોટો શેર કર્યા બાદ કમેન્ટમાં યૂઝર કહી રહ્યાં છે કે અમિતાભે કંઈ બોલવું જોઈએ. ઘણા યૂઝર બચ્ચનની આ પોસ્ટની નીચે અમર સિંહને શ્રદ્ધાંજલિ આપી રહ્યાં છે.