આજે ફરી યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અયોધ્યા જશે
ભૂમિપૂજન વિશેની વ્યવસ્થાની સમીક્ષા કરશે
નવી દિલ્હી: શ્રીરામ મંદિર ભૂમિ પૂજન માટે અયોધ્યા સજીધજીને તૈયાર છે. આ બધા વચ્ચે એવા સમાચાર છે કે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ આજે ફરી અયોધ્યા જશે અને ભૂમિ પૂજનની તૈયારીઓની સમીક્ષા કરશે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ આજે બપોરે 12:0 વાગે અયોધ્યા પહોંચશે.
અયોધ્યામાં પીએમ નરેન્દ્ર મોદીના પાંચ ઓગસ્ટના આગમન અગાઉ એકવાર ફરીથી સીએમ યોગી આદિત્યનાથ અયોધ્યા જઈને તૈયારીઓની સમીક્ષા કરશે. તેમણે આ પહેલા 25 જુલાઈના રોજ અયોધ્યાની મુલાકાત લીધી હતી. અયોધ્યામાં રામ મંદિર નિર્માણ માટે પાંચ ઓગસ્ટના રોજ ભૂમિપૂજન થવાનું છે. અયોધ્યામાં સુરક્ષા વ્યવસ્થા કડક કરવામાં આવી છે. સીએમ યોગીના નિર્દેશો મુજબ 4 અને 5 ઓગસ્ટના રોજ મથુરા, ચિત્રકૂટ, પ્રયાગરાજ, ગોરખપુર નૈમિષારણ્યમાં અખંડ રામાયણના પાઠ કરાવવામાં આવશે. આ પ્રમુખ તીર્થસ્થળો પર 5 ઓગસ્ટના રોજ દીવાળી પણ ઉજવાશે.
500 વર્ષનો ઈન્તેજાર ખતમ થઈ રહ્યો છે. પરંતુ દેશ માટે હવે 90 કલાક જેટલો ઈન્તેજાર જાણે મોટો થઈ રહ્યો છે. અયોધ્યામાં ભગવાન રામના મંદિર નિર્માણ માટે 5 ઓગસ્ટ માટે શુભ મુહૂર્ત છે. પીએમ મોદી શિલાન્યાસ કરશે. અયોધ્યામાં મુખ્ય માર્ગ પર રામ મંદિર ભૂમિ પૂજન માટે તોરણદ્વાર એટલે કે દરવાજા બનાવવામાં આવી રહ્યાં છે. જેના પર ભગવાન રામની તસવીર અને કાર્યક્રમની સમગ્ર જાણકારી લખેલી છે. ભૂમિ પૂજનની સાક્ષી આખા દેશની માટી બનશે. પૂજન માટે ઘાટ સરયુનો હશે પણ મંદિર નિર્માણમાં જળ ગંગા, યમુના, કાવેરી, રેવા અને સતલજનો પણ ચઢશે.