મુખ્ય સમાચાર
News of Tuesday, 2nd June 2020

ગુજરાત ઉપરથી ખતરો ટળ્યો

મહારાષ્ટ્રના અલીબાગમાં ટકરાશે

વાવાઝોડુ 'નિસર્ગ' હવે કાલે રાયગઢ અને દમણ વચ્ચેથી પસાર થઈ જશે : દક્ષિણ ગુજરાતમાં કેટલાક ભાગોમાં ભારે વરસાદ પડશે, વાવાઝોડાની અસરથી રાજયભરમાં પવનનું જોર રહેશે : સૌરાષ્ટ્રમાં કોઈ અસર જોવા મળશે નહિં : હવામાન ખાતુ

રાજકોટ, તા. ૨ : હાલ પુરતુ ગુજરાત ઉપરથી વાવાઝોડાનું સંકટ ટળી ગયુ છે. વાવાઝોડુ 'નિસર્ગ' હવે ગુજરાત નહિં મહારાષ્ટ્રના અલીબાગમાં ટકરાશે. જો કે આ વાવાઝોડાની અસર દક્ષિણ ગુજરાતમાં જોવા મળશે. કેટલાક ભાગોમાં ભારે વરસાદ પડશે. સૌરાષ્ટ્રમાં આ વાવાઝોડાની કોઈ જ અસર જોવા નહિં મળે તેમ હવામાન વિભાગે જણાવ્યુ છે.

ગુજરાત પરથી નિસર્ગ વાવાઝોડાનું સંકટ ટળી ગયુ છે. હવે આ વાવાઝોડુ ગુજરાત નહિં મહારાષ્ટ્રના અલીબાગમાં ટકરાશે. હવામાન વિભાગ દ્વારા આ અંગેની જાણકારી આપવામાં આવી છે. રાજયમાં વાવાઝોડાને લઈને ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ વાવાઝોડુ આવતીકાલે ૩ જૂનના બુધવારે બપોરે રાયગઢ અને દમણ વચ્ચેથી વાવાઝોડુ પસાર થઈ જશે.

હવામાન વિભાગ દ્વારા રાજયના દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. વાવાઝોડાના પગલે ગુજરાતમાં ૧૦૦ થી ૧૨૦ કલાકની ઝડપે પવન ફૂંકાશે. જયારે રાજયના તાપી, ડાંગ અને નર્મદામાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જયારે વાવાઝોડાની સૌરાષ્ટ્રમાં જરા પણ અસર જોવા મળશે નહિં.

સુરતથી ૯૦૦ કિ.મી. દૂર અરબ સાગરમાં ઉદ્દભવેલી ડિપ્રેશન સિસ્ટમ આગામી ૨૪ કલાકમાં સાઈકલોન સ્ટ્રોમ તરીકે વિકસીત થશે. આ વાવાઝોડુ આજે દમણ અને મહારાષ્ટ્રના હરિહરેશ્વર રાયગઢ વચ્ચેથી પસાર થવાની શકયતા રહેલી છે. જેની અસર દક્ષિણ ગુજરાત પર રહેશે. ઘણી જગ્યાએ ભારેથી અતિભારે વરસાદની આગાહી રહેશે. સુરત જિલ્લામાં આવતીકાલે સાંજે ૭૦ કિ.મી.થી લઈને ૯૦ કિ.મી.ની ઝડપે પવન ફંૂકાશે. માછીમારોને તા.૪ જૂન સુધી દરીયો નહિં ખેડવા માટે સુચના આપવામાં આવી છે. જયારે ડુમસ, સુવાલી, ડભારીના દરિયાકાંઠે જવા પર પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો છે.

(3:00 pm IST)