મુખ્ય સમાચાર
News of Tuesday, 2nd June 2020

હવે કોરોનાના ગંભીર દર્દીઓને આપવામાં આવશે અમેરિકાથી મંગાવેલી દવાઃ સરકારે આપી મંજૂરી

ત્રીજા ચરણના પરિણામ મુજબ રેમડેસિવીર દવાના ઉપયોગથી ૬૫ ટકા દર્દીઓમાં ૧૧માં દિવસે હાલત સારી જોવા મળી

નવી દિલ્હી, તા.૨: કોરોના વાયરસથી દુનિયાભરમાં હજારો લોકોના મોત થઈ રહ્યા છે, પરંતુ હજુ સુધી આ ખતરનાક વાયરસથી લડવા માટે ન તો કોઈ વેકસીન છે અને ન તો કોઈ દવા. જોકે કેટલીક દવાઓની થોડી અસર જરૂર થઈ રહી છે. આ પૈકી એક છે રેમડેસિવીર. આ મેડિસિનને તૈયાર કરી છે અમેરિકાની કંપની ગિલિયડ સાઇન્સિસ એ. હેવ આ દવાને ભારતમાં ઉપયોગમાં લેવા માટે મંજૂરી મળી ગઈ છે.

અંગ્રેજી અખબાર ઈન્ડિયન એકસપ્રેસ મુજબ ભારતની દવા નિયામક એકમ સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કન્ટ્રોલ ઓર્ગેનાઈઝેશન (ઘ્ઝ્રઘ્લ્ઘ્બ્)એ રેમડેસિવીરના ઉપયોગને લઈ મંજૂરી આપી દીધી છે. આ દવાને કોરોનાના એવા દર્દીઓને આપવામાં આવશે, જે હોસ્પિટલમાં દાખલ છે. તેમાં વયસ્ક અને બાળકો બંને સામેલ છે. અમેરિકાથી આ દવાને મુંબઈની એક કંપની કિલનેરા ગ્લોબલ સર્વિસિસ દ્વારા આયાત કરવામાં આવશે. હાલ કોરોનાના દર્દીઓ પર આ દવાનો ઉપયોગ માત્ર ૫ દિવસ માટે કરવામાં આવશે.

નોંધનીય છે કે, એન્ટી વાયરસ ડ્રગ રેમડેસિવીર પર હાલમાં સમગ્ર દુનિયાની નજર ટકેલી છે. હાલ અલગ-અલગ ચરણમાં તેના ટ્રાયલ ચાલી રહ્યા છે. ત્રીજા ચરણના પરિણામ મુજબ આ દવાના ઉપયોગથી ૬૫ ટકા દર્દીઓમાં ૧૧મા દિવસે હાલત સારી જોવા મળી. ગયા મહિને અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના સલાહકાર ડો. ફોસીએ વ્હાઈટ હાઉસમાં આ દવાની સફળતા વિશે જાહેરાત કરી હતી. તેઓએ કહ્યું કે આંકડા જણાવે છે કે રેમડેસિવીર દવાની ખૂબ સ્પષ્ટ, પ્રભાવી અને સકારાત્મક અસર પડી રહી છે. ડો. ફોસીએ જણાવ્યું કે રેમડેસિવીરનો અમેરિકા, યૂરોપ અને એશિયાના ૬૮ સ્થળો પર ૧૦૬૩ લોકો પર ટ્રાયલ કરવામાં આવ્યો જેનાથી એ જાણી શકાય કે રેમડેસિવીર દવા કોરોના વાયરસને રોકી શકે છે.

જાપાનમાં કોરોના વાયરસના સંક્રમણની સારવારમાં રેમડેસિવીર દવાનો ઉપયોગને મંજૂરી ગયા મહિને આપી દીધી હતી. જાપાને ત્રણ દિવસની અંદર જ તેની પર નિર્ણય લેવામાં આવ્યો હતો. જાપાનમાં કોરોનાની સારવારની અધિકૃત દવા છે રેમડેસિવીર.(૨૩.૪)

(9:36 am IST)