મુખ્ય સમાચાર
News of Tuesday, 2nd March 2021

નોટબંધીના ખોટા નિર્ણયથી દેશમાં બેકારી વધી ગઈ : પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ

રાજીવ ગાંધી ડેવલપમેન્ટ સ્ટડીઝના સંમેલનનું ઉદ્ઘાટન : સરકાર-આરબીઆઈના પગલાંથી ક્રેડિટ સમસ્યા છુપાવી શકાતી નથી, આ સંકટ નાના-મધ્ય સેક્ટર પ્રભાવિત કરશે

તિરુવનંતપુરમ, તા. ૨ : કેરળમાં કોંગ્રેસ પાર્ટી સાથે જોડાયેલ થિંક ટેક્ન રાજીવ ગાંધી ડેવલોપમેન્ટ સ્ટડીઝના એક વર્ચ્યુઅલ સંમેલનનું ઉદ્ધાટન કરતાં પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહે કેન્દ્રની મોદી સરકાર પર નિશાન સાધ્યું હતું. મનમોહન સિંહે ફરી એક વખત નોટબંધીના નિર્ણયને ખોટો ગણાવ્યો છે. સાથે જ તેમણે કહ્યું કે, ભાજપ સરકાર તરફથી વિચારણા વગર લેવાયેલા આ નિર્ણયના કારણે દેશમાં બેરોજગારી વધી છે. તેમણે કહ્યું કે, મોદી સરકાર રાજ્યો સાથે નિયમિત રીતે ચર્ચા વિચારણા કરતી નથી.

મનમોહન સિંહે કહ્યું કે, સરકાર અને રિઝર્વ બેક્ન ઓફ ઇન્ડિયા દ્વારા હંગામી પગલાંથી ક્રેડિટ સમસ્યાને છુપાવી શકાતી નથી. આ સંક્ટ નાના અને મધ્ય સેક્ટરને પ્રભાવિત કરી શકે છે. બેરોજગારી વધુ છે અને અસંગઠિત ક્ષેત્ર પાયમાલ થઇ ગયું છે. આ સંકટ વર્ષ ૨૦૧૬માં વિચાર્યા વગર લેવાયેલા નોટબંધીના નિર્ણયથી ઉપજ્યું છે.

આગળ તેમણે કહ્યું કે, રાજ્યો સાથે નિયમિત ચર્ચા જે ભારતની આર્થિક અને રાજકીય આધારશિલા છે, તેને વર્તમાન કેન્દ્ર સરકાર મહત્વ આપતી નથી. કેરળના વિકાસને લઇને પોતાનો મત રજૂ કરતાં મનમોહન સિંહે કહ્યું કે, રાજ્યમાં સામાજીક માપદંડ ઊંચા છે, પરંતુ ભવિષ્યમાં બીજા ક્ષેત્રોમાં ધ્યાન આપવાની જરૃર છે. અહીં કેટલાક અવરોધો છે, જેનાથી રાજ્યને બહાર નીકળવાનું છે. તેમણે કહ્યું કે, ડિજિટલ મોડના લીધે આઇટી સેક્ટર તો કામ કરી રહ્યું છે, પરંતુ મહામારીને લીધે પ્રવાસન પર ઘણી ખરાબ અસર પડી છે.

(8:08 pm IST)