મુંબઈમાં અમને જાનથી મારી નાખવાની ધમકી મળી રહી છે : અમારા ઉપર ચાલી રહેલા 4 ક્રિમિનલ કેસ સિમલા કોર્ટમાં ટ્રાન્સફર કરાવી આપો : કંગના રનોત અને રંગોલી ચંદેલએ સુપ્રીમ કોર્ટના દ્વાર ખખડાવ્યા
ન્યુદિલ્હી : ફિલ્મ અભિનેત્રી કંગના રનોત અને તેની બહેન રંગોલી ચંદેલએ તેમના ઉપર મુંબઈની જુદી જુદી કોર્ટમાં ચાલી રહેલા 4 ક્રિમિનલ કેસ હિમાચલ પ્રદેશની સિમલા કોર્ટમાં ટ્રાન્સફર કરાવી આપવા સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે.
બંને બહેનોએ કરેલી અરજીમાં જણાવ્યા મુજબ તેઓને મુંબઈમાં જાનથી મારી નાખવાની ધમકી મળી રહી છે.તથા તેમની સંપત્તિને પણ નુકશાન પહોંચાડવાની ધમકી મળી રહી છે.
આ ચાર કેસમાં બોલીવુડના જાણીતા ગીતકાર જાવેદ અખ્તર દ્વારા રનોત સામે નોંધાયેલી માનહાનિની ફોજદારી ફરિયાદ પણ શામેલ છે.રનોત અને ચંદેલએ દાવો કર્યો છે કે તેમની વિરુદ્ધના તમામ કેસો તેમને સતાવવા અને તેમની જાહેર છબીને ખરડાવવાના દૂષિત ઇરાદા સાથે ફાઇલ કરવામાં આવ્યા છે.અરજીમાં જણાવાયું છે કે તેઓ દેશની અદાલતો પ્રત્યે સંપૂર્ણ વિશ્વાસ અને આદર ધરાવે છે, પરંતુ જો મુંબઈમાં કેસોની સુનાવણી ચાલુ રહે તો તેઓ તેમના જીવન અને સંપત્તિ ઉપર જોખમ છે.
ઉપરાંત શિવસેનાના નેતૃત્વવાળી મહારાષ્ટ્ર સરકાર પર પણ તેઓએ કનડગતનો આરોપ લગાવ્યો હતો.જેના અનુસંધાને પિટિશનમાં શિવસેનાના નેતા અને સંસદસભ્ય સંજય રાઉતના નિવેદનનો ઉલ્લેખ કર્યો છે, જે મુજબ તેઓએ રનૌતને 'હરામખોર લડકી' તરીકે સંબોધન કર્યું હતું.તેમજ અરજદારોએ રનૌતના પાલી હિલ બંગલાના એક ભાગને તોડી પાડવાના બૃહદ મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનના આદેશનો પણ ઉલ્લેખ કર્યો હતો.તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.