દિલ્હી-એનસીઆરમાં સીએનજી-પીએનજીમાં ભાવ વધારો
સીએનજીમાં ૭૦ પૈસા અને પીએનજીમાં ૯૧ પૈસા વધ્યા
નવી દિલ્હી, તા. ૨ :. વાહનોમાં ઉપયોગમાં લેવાતા સીએનજી અને ઘરના રસોડામાં વપરાતા પીએનજીની કિંમતોમાં ફરી એકવાર વધારો કરવામાં આવ્યો છે. દિલ્હી-એનસીઆરમાં સોમવારે સીએનજી-પીએનજીના ભાવોમાં વધારો થયો છે. સીએનજીમાં ૭૦ પૈસા અને પીએનજીમાં ૯૧ પૈસા વધી ગયા છે. આ ભાવ વધારો ૨ માર્ચ સવારે ૬ વાગ્યાથી લાગુ થઈ ગયો છે.
ઈન્દ્રપ્રસ્થ ગેસ લીમીટેડ (આઈજીએલ)એ સોમવારે કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ (સીએનજી) અને પાઈપ્ડ નેચરલ ગેસ (પીએનજી)ના ભાવોમાં વધારો કરતા દિલ્હી-એનસીઆરમાં સીએનજીના નવા ભાવ ૪૩.૪૦ રૂપિયા પ્રતિ કિલો અને પીએનજી ૨૮.૪૧ રૂપિયા પ્રતિ એસએમ થઈ ગયા છે.
સીએનજી-પીએનજીની વધેલી કિંમતો દિલ્હી, નોઈડા, ગ્રેટર નોઈડા અને ગાઝીયાબાદ ઉપરાંત કાનપુર, ફતેહપુર, હમીરપુર, મુઝફફરનગર, શામલી, કરનાલ, કૈથલ અને રેવાડીને પણ અસર કરશે. કિંમતો વધારવા પાછળનું કારણ કોરોનાકાળમાં આઈજીએલની ફીકસ્ડ કોસ્ટ, મેનપાવર કોસ્ટ અને પરિચાલન ખર્ચમાં થયેલ વધારો હોવાનું જણાવાઈ રહ્યું છે.