ટેક્સ સ્લેબમાં ફેરફાર વિના પણ મધ્યમ વર્ગને રાહતો અપાઈ છે
મિડલ ક્લાસને ટેક્સમાં છુટછાટ કેમ ન મળી તે અંગે જેટલીનો ખુલાસો : છેલ્લા ૪-૫ બજેટને ધ્યાનમાં લેવામાં આવે તો જાણી શકાય છે કે હંમેશા જ નાના કરદાતાઓને રાહત : ટેક્સ વસુલી સૌથી મોટો પડકાર : અરુણ જેટલી
નવીદિલ્હી, તા. ૨ : નાણામંત્રી અરુણ જેટલીએ નાણાંકીય વર્ષ ૨૦૧૮-૧૯ના બજેટમાં મધ્યમ વર્ગને કોઇ રાહત ન આપવાના પ્રશ્નો ઉપર જવાબ આપતા આજે કહ્યું હતું કે, તેઓએ જુદા જુદા તરીકાથી નાના કરદાતાઓને રાહત આપવાના પ્રયાસ કર્યા છે. જેટલીએ પોતાની અવધિમાં જુદી જુદી રાહતોનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે, આ જરૂરી નથી કે, મધ્યમ વર્ગના લોકોને રાહત આપવા માટે ટેક્સ સ્લેબમાં જ ફેરફાર કરવામાં આવે. તેમણે ઉમેર્યું હતું કે, નાના કરદાતાઓને ટેક્સની હદમાં લાવવા માટે ગયા વર્ષે ૨.૫ લાખથી પાંચ લાખ રૂપિયાના સ્લેબ ઉપર ટેક્સનો દર ૧૦ ટકાથી ઘટાડીને પાંચ ટકા કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, પાંચ ટકાનો સ્લેબ દુનિયામાં માત્ર એક જ ભારતમાં છે. આ દુનિયામાં સૌથી ઓછો ટેક્સ સ્લેબ છે. જુદા જુદા મિડિયા પ્રતિનિધિઓ સાથેની મિટિંગમાં જેટલીએ કહ્યું હતું કે, અમે ૫૦, ૬૦, ૭૦ હજાર રૂપિયા આવકવાળા નાના કરદાતાઓને રાહત આપવા માટે જુદા જુદા તરીકે અપનાવ્યા છે. પરોક્ષરીતે અમે તેમના ખિસ્સામાં વધુ નાણાં ઉમેરવાના પ્રયાસ કરી રહ્યા છે. નાના કરદાતાઓને માત્ર ટેક્સ સ્લેબમાં ફેરફાર કરીને જ રાહત આપી શકાય તેમ નથી. તેમણે ઉમેર્યું હતું કે, ભારતમાં ટેક્સ વસુલાત અને કરદાતાઓની સંખ્યા વધારવાની બાબત ખુબ જ પડકારરુપ છે જેથી તેમના છેલ્લા ચાર પાંચ બજેટના ઉપર હિસાબ કરવામાં આવે તો જાણી શકાય છે કે, લગભગ તમામ બજેટમાં નાના કરદાતાઓને તબક્કાવારરીતે રાહત આપવામાં આવી છે. તેમણે કહ્યું હતું કે, જ્યારે નાણામંત્રી બન્યા ત્યારે ટેક્સ છુટછાટની મર્યાદા બે લાખ રૂપિયા હતી. તેઓએ આને ત્રણ લાખ રૂપિયા કરી હતી. હકીકતમાં બે વર્ષ પહેલા તેમણે કહ્યું હતું કે, આગામી ૫૦૦૦૦ રૂપિયા માટે ટેક્સ આપવાની જરૂર નથી. આની સાથે જ નાના કરદાતાઓ માટે ટેક્સ છુટછાટની મર્યાદા ૩ લાખ થઇ હતી. જેટલીનું કહેવું છે કે, ટેક્સ છુટછાટ માટે સ્લેબ બે લાખથી વધારીને ૨.૫૦ લાખ કર્યો હતો. બજેટ ૨૦૧૭-૧૮માં ૩.૫ લાખ રૂપિયાની વાર્ષિક આવકવાળા લોકોને ટેક્સમાં ૨૫૦૦ રૂપિયાની છુટછાટ આપવામાં આવી હતી. આવી સ્થિતિમાં ત્રણ લાખ રૂપિયા સુધીની કમાણી કરનારને ટેક્સ મુક્તિ મળી હત. કારણ કે ૨.૫૦ લાખ રૂપિયાની કમાણ ટેક્સ ફ્રી છે. બાકીના ૫૦૦૦૦ રૂપિયા પર પાંચ ટકાથી ૨૫૦૦ રૂપિયાના જે ટેક્સ લાગે છે તે ફ્રી છે. એટલે કે ત્રણ લાખ રૂપિયા સુધીની આવક ટેક્સ ફ્રી થઇ છે જ્યારે ૩.૫ લાખની વાર્ષિક આવક પર ૨૫૦૦ રૂપિયા ટેક્સ છે.
જેટલીએ મિડલ ઇન્કમવાળા પ્રોફેશનલ લોકોની ચર્ચા કરી છે. તેમનું કહેવું છે કે, તમામ કેટેગરીને પ્રોફેશનલો માટે ૫૦ લાખ રૂપિયાની આવકવાળાને કોઇ એકાઉન્ટ બુક મેઇનટેન્ટ કરવાની જરૂર નથી. આમા ૫૦ ટકાને ખર્ચ માની લેવામાં આવશે. અડધી આવકને આવક માનીને ટેક્સ આપવાની જરૂર રહેશે.