ઇમરાનખાનની જાહેરાત
કરતારપુર દર્શન માટે શ્રધ્ધાળુઓને પાસપોર્ટની જરૂર નથી
ઇસ્લામાબાદ,તા.૧:પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન એ કરતારપુર કોરિડોરના ઉદ્ઘાટન પહેલા શુક્રવારે મોટી જાહેરાત કરી છે. ઈમરાન ખાને કહ્યું છે કે કરતારપુર સાહિબ ગુરુદ્વારાના દર્શન માટે પાસપોર્ટની જરૂર રહેશે નહીં.ઈમરાન ખાને ટ્વીટ કરીને કહ્યું કે ભારતથી કરતારપુર જવાના શીખ શ્રદ્ઘાળુઓ માટે બે શરતો મેં છોડી છે. એક- તેમની પાસે પાસપોર્ટ હોવા જરૂરી નથી. ફકત એક કાયદેસર આઈડી જ પૂરતું રહેશે. બીજી એ કે ૧૦ દિવસ પહેલા એડવાન્સમાં રજિસ્ટ્રેશન કરાવવાની કોઈ જરૂર નથી.
ઈમરાન ખાને વધુમાં કહ્યું કે ઉદ્ઘાટનના દિવસે કોઈ પણ પ્રકારની ફી લેવામાં આવશે નહીં. ગુરુનાનક દેવજીના ૫૫૦માં જન્મદિવસ પર કોઈ પણ ફી લેવાશે નહીં. અત્રે જણાવવાનું કે પાકિસ્તાન યાત્રાળુઓ પાસેથી ૨૦ ડોલર (લગભગ ૧૪૦૦ રૂપિયા)ની ફી વસૂલવા પર મક્કમ છે. કરતારપુર કોરિડોરથી પાકિસ્તાનને દર મહિને લગભગ ૩૦ લાખ ડોલરની કમાણી થઈ શકે છે.