યુક્રેનના ઝાપોરિઝઝયા શહેરમાં નાગરિક કાફલા પર રશિયન મિસાઇલ હુમલો : ઓછામાં ઓછા ૩૦ના મોત
વિશ્વભરના દેશો તરફથી નિંદા અને પ્રતિબંધો હોવા છતાં રશિયન સૈન્ય યુક્રેનમાં વિનાશ વેરવાનું ચાલુ રાખે છે
કિવ તા. ૧ : યુક્રેનના ૧૮ ટકાને પોતાના દેશમાં સામેલ કરીને પણ રશિયાની ‘ભૂખ' શમી નથી. વિશ્વભરના દેશો તરફથી નિંદા અને પ્રતિબંધો હોવા છતાં, રશિયન સૈન્ય યુક્રેનમાં વિનાશ વેરવાનું ચાલુ રાખે છે. CNN ના અહેવાલ મુજબ, ગઇકાલે યુક્રેનિયન શહેર ઝાપોરિઝ્ઝ્યામાં નાગરિક કાફલા પર રશિયન મિસાઇલ હુમલામાં ઓછામાં ઓછા ૩૦ લોકો માર્યા ગયા અને ૮૮ ઘાયલ થયા.
ઝાપોરિઝ્ઝ્યા પ્રાદેશિક લશ્કરી વહીવટીતંત્રના વડા એલેક્ઝાન્ડર સ્ટારૂખે ટેલિગ્રામ પર જણાવ્યું હતું કે, ‘શત્રુએ ઝાપોરિઝ્ઝ્યા છોડતી વખતે નાગરિક માનવતાવાદી કાફલા પર રોકેટ હુમલો કર્યો.' સીએનએનએ યુક્રેનના રાષ્ટ્રીય પોલીસ વડા ઇહોર ક્લેમેન્કોને ટાંકીને જણાવ્યું હતું કે હુમલામાં માર્યા ગયેલા લોકોમાં એક ૧૧ વર્ષની છોકરી અને ૧૪ વર્ષનો છોકરો સામેલ છે.
અગાઉ રશિયન પ્રમુખ વ્લાદિમીર પુટિને ઔપચારિક રીતે ચાર પ્રદેશોના વિલીનીકરણની જાહેરાત કરી હતી - ડોનેટ્સક, લુહાન્સ્ક, ખેરસન અને ઝાપોરિઝ્ઝ્યા, દાવો કર્યો હતો કે ‘આ લાખો લોકોની ઇચ્છા છે.' મીડિયા અહેવાલો અનુસાર, આ રાજયોના વડાઓની નિમણૂક બાદ પુતિને કહ્યું હતું કે ચાર પ્રદેશોના રહેવાસીઓ હવે રશિયાના ‘હંમેશાં નાગરિક' રહેશે.