આને કહેવાય જીવદયા : ચકલીના બચ્ચાને બચાવવા ગામ લોકોએ ૩૫ દિવસનો અંધારપટ્ટ સહન કર્યો
શિવગંગા : લોકડાઉન દરમિયાન પરપ્રાંતિય મજુરોના નિભાવનો પ્રશ્ન ચર્ચામાં રહ્યો. આવા મજુરોની મદદ કોઇને કોઇએ કરી. એ વાત તો સૌ સમજી શકયા. પણ અહીં ચકલીના બચ્ચાને બચાવવા આદરાયેલ સંઘર્ષની વાત છે.
પોતાના બચ્ચાઓને બચાવવા સંઘર્ષ કરી રહેલ ચકલીને નિહાળી ગામવાળાઓને પણ લાગણી ઉભરાઇ. તેઓએ જોયુ કે આ ચકલીનો માળો તો સ્ટ્રીટ લાઇટના સ્વીચ બોર્ડ ઉપર છે. જો સ્પાર્ક થાય તો માળો બળી જાય.
બધાના હ્ય્દયમાં કરૂણાભાવ જાગ્યો અને નિર્ણય લેવાયો કે જયાં સુધી આ ચકલીના બચ્ચા મોટા થઇને ઉડી ન જાય ત્યાં સુધી સ્વીચ બોર્ડ બંધ જ રખાશે. એક દિવસ નહીં પુરા ૩૫ દિવસ ગામે અંધારપટ સહન કર્યો.
સ્વાભાવિક છે કે ચોમાસાના દિવસો હોય અને સ્વીચ બોર્ડમાં કરંટ લાગે તો ચકલોનો માળો સળગી ઉઠે. ચકલીના બચ્ચા મરી જાય તો દુઃખ થાય. આવુ વિચારી ગામ લોકોએ સ્વીચ બોર્ડ બંધ રાખવાનું જ વધુ ઉચિત સમજયુ.
આમ ચકલીના બચ્ચાને બચાવવા માત્રી પરહીત કાજે ગામ લોકોએ ૩૫ દિવસનો અંધારપટ સહન કરી લીધો. આ કિસ્સો સોશ્યલ મીડિયામાં ધુમ મચાવી રહ્યો છે. આ ઘટના માનવીય સંવેદનાની પ્રેરણા પુરી પાડે છે. જો ચકલીના બચ્ચાને બચાવવા આટલુ થતુ હોય તો મહામારીના દિવસોમાં ગમે તેવી મુશ્કેલીનો સામનો કરવામાં પણ આવી એકતા બેમિશાલ પુરવાર થઇ શકે.