વન નેશન-વન રાશન કાર્ડથી મજૂરોને મોટો લાભ થયો : વડાપ્રધાન નરેન્દ્ર મોદી
કેન્દ્રની ડિજિટલ યોજનાના છ વર્ષ પૂરા થયા : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યોજનાના લાભાર્થીઓ સાથે સીધો સંવાદ સાધ્યો
નવી દિલ્હી, તા. ૧ : કેન્દ્ર સરકારની ડિજિટલ ઈન્ડિયા યોજનાને ગુરૂવારે ૬ વર્ષ પૂર્ણ થયા હતા. આ નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ યોજનાના લાભાર્થીઓ સાથે સીધો સંવાદ સાધ્યો હતો. આ દરમિયાન વડાપ્રધાન મોદીએ ભીમ એપ, વન નેશન-વન રેશન કાર્ડ સહિત અન્ય કેટલીય યોજનાઓના લાભાર્થીઓ સાથે સીધો સંવાદ સાધ્યો હતો. વડાપ્રધાને જણાવ્યું કે, કોરોના કાળમાં ટેક્નોલોજીએ સામાન્ય માણસોને ફાયદો અપાવ્યો છે.
વડાપ્રધાને જણાવ્યું કે, ડિજિટલ ઈન્ડિયાએ ભારતના સપના આગળ વધાર્યા છે અને સામાન્ય મનુષ્યને લાભ પહોંચાડ્યો છે. ડિજિટલ ઈન્ડિયા આત્મનિર્ભર ભારતની સાધના છે, તે સશક્ત બની રહેલા ભારતનો જયઘોષ છે. વડાપ્રધાન મોદીએ કહ્યું કે, વન નેશન-વન રેશન કાર્ડથી સૌથી વધારે ફાયદો મજૂરોને થયો છે. અનેક રાજ્યોએ તેને લાગુ ન કરેલ પરંતુ હવે સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ તમામે આ સ્કીમ લાગુ કરવી પડશે.
વડાપ્રધાને આ દરમિયાન ઓનલાઈન અભ્યાસ કરતા બાળકો સાથે પણ વાત કરી હતી. સાથે જ દીક્ષા પ્રોગ્રામ દ્વારા બાળકોને ભણાવતા ટીચર્સ સાથે સંવાદ સાધ્યો હતો તથા કોરોના કાળમાં તે કેવી રીતે મદદરૂપ બન્યું તેની જાણકારી લીધી હતી. વડાપ્રધાનના કહેવા પ્રમાણે સરકાર પ્રયત્ન કરી રહી છે કે, બાળકોના અભ્યાસમાં કોઈ મુશ્કેલી ન અનુભવાય તથા ડિજિટલી અભ્યાસ થતો રહે.
વડાપ્રધાને મહારાષ્ટ્રના ખેડૂત સાથે પણ ચર્ચા કરી હતી જે પોતાનો પાક ઓનલાઈન વેચે છે. વડાપ્રધાને લોકોને ડૉક્ટર્સ ડેની પણ શુભેચ્છા પાઠવી હતી.