તીડના નિયંત્રણ માટે તૈયાર કરાયા વાયુ સેનાના હેલિકોપ્ટર MI -17 : ટ્રાયલ પૂર્ણ
હેલિકોપ્ટરમાં ફેરફાર કરવા માટે વિદેશની કંપની સાથે કરાર કર્યો હતો
નવી દિલ્હી :તીડના આક્રમણના લીધે દેશના કૃષિ મંત્રાલયે મે મહિનામાં ઓટોમેટિક જંતુનાશક દવાનો છંટકાવ કરવા માટેના બે MI -17 હેલિકોપ્ટરમાં ફેરફાર કરવા માટે વિદેશની કંપની સાથે કરાર કર્યો હતો. જો કે આ કંપનીઓ કોરોના વાઈરસની મહામારીના લીધે ક્યારે કામ કરી આપે તે નક્કી નહોતું. આથી ભારતીય વાયુસેનાએ જ હેલિકોપ્ટરમાં મોડિફિકેશન કર્યું છે અને સફળતાપૂર્વક ટ્રાયલ પણ પૂર્ણ કર્યું છે.
ભારતીય વાયુસેનાના યુનિટે આ પડકારજનક કામ હાથમાં લીધું હતું અને પૂર્ણ કર્યું હતું. વાયુસેનાએ MI-17 હેલિકોપ્ટરમાં મોડિફિકેશનની પ્રક્રિયા હાથ ધરી હતી. હેલિકોપ્ટરની બંને બાજુ સ્પ્રે નોઝલ લગાવવામાં આવી છે અને ત્યાંથી ઓટોમેટિક જંતુનાશક દવાનો છંટકાવ તીડના ઝુંડ પર કરી શકાશે. ભારતીય વાયુસેનાના ચંદીગઢ સ્થિત ડેપોમાં આ મોડિફિકેશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. 800 લીટરની ટાંકી પણ ફીટ કરવામાં આવી છે અને તેના લીધે સતત 40 મિનિટ સુધી જંતુનાશક દવાનો છંટકાવ કરી શકાશે.