પૂર્વ વિદેશમંત્રી સુષ્મા સ્વરાજના રસ્તે ચાલવાની બાબત ખુબ જ ગર્વની છે
વિદેશમંત્રી એસ જયશંકરની પ્રતિક્રિયા
નવી દિલ્હી, તા.૧ : વિદેશમંત્રી તરીકેની જવાબદારી સંભાળી લીધા બાદ એસ જયશંકરે આજે ટ્વિટ કરીને કહ્યું હતું કે, પૂર્વ વિદેશમંત્રી સુષ્મા સ્વરાજના રસ્તા ઉપર ચાલવાની બાબત તેમના માટે ખુબ પડકારરુપ રહેશે. સાથે સાથે આ રસ્તા પર ચાલીને તેઓ ગર્વ અનુભવ કરવા ઇચ્છુક છે. જયશંકરે પોતાના પ્રથમ ટ્વિટમાં સુષ્મા સ્વરાજની કામગીરીની આજે પ્રશંસા કરી હતી. પૂર્વ વિદેશ સચિવને કેબિનેટમાં સામેલ કરીને વડાપ્રધાને તમામને ચોંકાવી દીધા હતા. મોદીએ શુક્રવારના દિવસે મંત્રાલયની ફાળવણી કરી ત્યારે વિદેશ મંત્રાલયની જવાબદારી જયશંકરને સોંપી હતી. વિદેશ મંત્રી બન્યાબાદ તેમને મળેલી શુભકામનાઓના સંદર્ભમાં જયશંકરે તમામનો આભાર માન્યો છે. મહત્વપૂર્ણ જવાબદારી મળ્યા બાદથી તેઓ ગર્વ અનુભવ કરી રહ્યા છે. સુષ્મા સ્વરાજના રસ્તે ચાલવાની બાબત વધુ પડકારરુપ રહેશે. પૂર્વ વિદેશ સચિવ સુબ્રમણ્યમ જયશંકરને વિદેશ મંત્રાલય જેવી મોટી જવાબદારી આપવાની બાબત દર્શાવે છે કે, વડાપ્રધાને એક નિષ્ણાતને પ્રાથમિકતા આપી છે. છેલ્લે જાન્યુઆરી મહિનામાં નિવૃત્ત થયેલા જયશંકરે ભારત-અમેરિકા સિવિલ ન્યુક્લિયર ડિલમાં મહત્વપૂર્ણ રહ્યા હતા.