મુખ્ય સમાચાર
News of Friday, 1st June 2018

૨૨ રાજ્યોમાં ખેડૂતોનું ગામ બંધ આંદોલન વિધિવત શરૂ

૧૦મી જૂનના દિવસે ભારત બંધ રાખવા નિર્ણયઃ દેશના જુદા જુદા ભાગોમાં ખેડૂતો દ્વારા જાહેર રસ્તા ઉપર શાકભાજી અને દૂધ ફેંકી દેવાયા : આંદોલન હાલ સ્વૈચ્છિક

નવીદિલ્હી,તા. ૧ : દેશના ૨૨ રાજ્યોમાં ૧૧૨થી વધુ ખેડૂત સંગઠનોની અપીલ પર ખેડૂતોની ૧૦ દિવસના ગામડા બંધ આંદોલનની આજે શરૂઆત થઇ ગઇ હતી. ખેડૂત સંગઠનોએ દાવો કર્યો છે કે,  આ આંદોલન સ્વૈચ્છિક છે. તેમાં કોઇપણ પ્રકારના ધરણા પ્રદર્શન કરવામાં આવનાર નથી. માત્ર ખેડૂતો પોતાના ઘરથી બહાર નિકળી રહ્યા નથી. જે લોકોને શાકભાજી, દૂધની જરૂર છે તે લોકોને ગામડામાં આવવું પડશે. ખેડૂતો મુખ્યરીતે આજે શાકભાજી રસ્તા પર ફેંકી દેતા, દૂધ જાહેર રસ્તા પર ધોડી દેતા નજરે પડ્યા હતા. જાણકાર લોકોનું કહેવું છે કે, સરકારની નીતિઓ સામેના વિરોધમાં આ આંદોલન થઇ રહ્યા છે. ખેડૂત સંગઠનોનો આક્ષેપ છે કે,  પુરતા નાણા લોકોને મળી રહ્યા નથી. ખેડૂતોને તેમની પેદાશના પુરતા નાણા મળી રહ્યા નથી. ખેડૂતોની સાથે સાથે જુદા જુદા કારોબાર સાથે જોડાયેલા લોકો પરેશાન દેખાઈ રહ્યા છે. કેન્દ્ર અને રાજ્ય સરકારોએ ખેડૂતોને આંદોલનની રાહ છોડી દેવા માટે અપીલ કરી હતી. જો કે, આની અસર દેખાઈ નથી. દુધ અને શાકભાજીનું સંકટ તોળાઈ રહ્યું છે.  કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને જાળવી રાખવા માટે તમામ પગલા પહેલાથી જ લેવામાં આવ્યા છે. મધ્યપ્રદેશના કેટલાક જિલ્લામાં ખેડૂતોથી બોન્ડ પણ ભરાવી લેવામાં આવ્યા છે. ખેડૂત સંગઠનો મુજબ પહેલીથી લઇને હવે ૧૦મી સુધી ગામથી કોઇપણ સામગ્રી શહેરમાં પહોંચશે નહીં. દૂધ, ફળફળાદી, શાકભાજી અને અન્ય ચીજવસ્તુઓને લઇને પણ શહેરના લોકોને અડચણો થઇ શકે છે. દૂધ, ફળફળાદીને ગામમાં જ વેચવામાં આવશે. આંદોલનના ભાગરુપે છઠ્ઠી જૂનના દિવસે શહીદ દિવસ, આઠમી જૂનના અસહયોગ દિવસ અને ૧૦મી જૂનના દિવસે ભારત બંધ રાખવામાં આવશે. ખેડૂતોની માંગણી છે કે તેમને જે જાહેરાત કરવામાં આવી છે તે મુજબ નાણા મળવા જોઇએ. મધ્યપ્રદેશમાં થોડાક સમય પહેલા ખેડૂતો પર ગોળીબાર કરવામાં આવ્યો હતો જેને લઇને પણ વિરોધ પ્રદર્શન જારી છે. રાષ્ટ્રીય કિસાન મજદૂર મહાસંઘના અધ્યક્ષ શિવકુમાર શર્માએ કહ્યું છે કે, દમણકારી નીતિ સરકાર અપનાવી રહી છે. આનાથી શાંતિપૂર્ણ આંદોલન હિંસક બની શકે છે. મંદસોર, થાર, ઝાંબુઆ સહિત અનેક સંવેદનશીલ વિસ્તારો ઉપર તંત્રએ ધ્યાન કેન્દ્રિત કર્યું છે. ૨૨થી વધુ રાજ્યોમાં ખેડૂતોના ગામડા બંધ આંદોલનની શરૂઆત થયા બાદ મોદી સરકાર પર પણ દબાણ વધી ગયું છે. મોદી સરકાર દ્વારા વિવિધ જાહેરાતો કરવામાં આવી હોવા છતાં પુરતા લાભ લોકોને મળી રહ્યા નથી.

(9:45 pm IST)