અરુણ જેટલી જૂનના અંત સુધી જવાબદારી સંભાળશે
કિડની ટ્રાન્સપ્લાન્ટ બાદ આરામ પર
નવીદિલ્હી, તા. ૧ : નાણામંત્રી અરુણ જેટલી જૂનના અંત સુધીમાં કામ પર પરત ફરે તેવી શક્યતા દેખાઈ રહી છે. અરુણ જેટલી ઉપર હાલમાં કિડની ટ્રાન્સપ્લાન્ટ સર્જરી કરવામાં આવી હતી. જેટલી ઘરઆંગણે પહોંચ્યા બાદ પણ રિકવરીની પ્રક્રિયા પર હાલ નજર રાખશે. અરુણ જેટલીને તબીબી સૂચનો કઠોરરીતે પાળવા પડશે. જો તમામ બાબતો યોજનાપૂર્વક આગળ વધશે તો તેઓ જૂનના અંત સુધી નાણામંત્રાલયમાં પોતાની જવાબદારી ફરી સંભાળી લેશે. જેટલીના નજીકના સુત્રોનું કહેવું છે કે, તેઓ સારીરીતે રિકવર થઇ રહ્યા છે અને હોસ્પિટલના રુમમાં ચાલવા પણ લાગી ગયા છે. ઓલ ઇન્ડિયા ઇસ્ટીટ્યુટ ઓફ મેડિકલ સાયન્સમાં હાલમાં તેઓ ભરતી છે. રજા મળી ગયા બાદ તેઓ ડાયટના ધારાધોરણને પાળશે. ઓછામાં ઓછા ૧૦-૧૫ દિવસ સુધી ખુબ સાવધાન રહેવું પડશે જે ઓપરેશન બાદ એક પ્રક્રિયાના ભાગરુપે છે. જેટલી હાલમાં વડાપ્રધાનની સત્તાવાર વેબસાઇટ પર ખાતાવગરના પ્રધાન તરીકે છે. તેઓ થોડાક દિવસ સુધી ઘરેથી કામ કરશે. બે-ત્રણ સપ્તાહ સુધી ઘરેથી જ તમામ જવાબદારી સંભાળશે.