મુખ્ય સમાચાર
News of Friday, 1st June 2018

ચાર જ વર્ષમાં સ્થિતિ પલટાઇ

ભાજપને મૂંઝવતો સવાલ... વિપક્ષોની એકતા લોકસભા ચૂંટણીમાં નડશે?

નવી દિલ્હી તા. ૧ : એક તરફ પીએમ મોદી ચાર વર્ષના શાસનમાં દેશની શકલ અને સૂરત બદલાઈ ગઈ હોવાના દાવા કરતા રહે છે, જયારે બીજી તરફ પેટાચૂંટણીઓમાં ભાજપના કથળતું પ્રદર્શન તેમના આ દાવા પર સવાલ ખડા કરે છે. કર્ણાટક, ગુજરાતની વિધાનસભા ચૂંટણી હોય કે પછી રાજસ્થાન, મધ્યપ્રદેશ તેમજ યુપીમાં થયેલી પેટાચૂંટણીના પરિણામ, હવે 'વિકાસ' મોડેલ પર સવાલો ઉઠી રહ્યા છે, તેમાંય વિપક્ષોની એકતા પક્ષ માટે ચિંતાનું કારણ બની રહી છે.

બિગ આઇડિયા જરૂરી

લોકસભાની પેટાચૂંટણીમાં ભાજપનો પરાજય એ વાતનો અંદેશો આપે છે કે, વિપક્ષોની એકતાને ભાજપ હળવાશથી લઈ શકે તેમ નથી. લોકસભાની ચૂંટણી થવાને હવે તો એક વર્ષ જેટલો પણ સમય નથી રહ્યો, ત્યારે ભાજપ માટે ૨૦૧૪નું પુનરાવર્તન કરવા માટે આઉટ ઓફ બોકસ આઈડિયા અતિશય જરુરી બની ગયો છે.

ભાજપનું માર્જિન પણ ઘટી ગયું

પેટાચૂંટણીમાં ભાજપની હારનું જે માર્જિન છે તે પણ બતાવે છે કે, વિપક્ષોએ ભેગા થઈ એક જ ઉમેદવાર ઉભો રાખતા ભાજપના વોટ પણ ખેંચી લીધા છે. તેમાંય યુપીની કૈરાના બેઠક પર આરએલડીના ઉમેદવાર તબસ્સુમ હસનની જીત એ પણ બતાવે છ છે કે, ભાજપના ઉમેદવાર મૃગાંકા સિંહ પોતે જાટ હોવા છતાંય જાટોના વોટ મેળવવામાં પણ નિષ્ફળ રહ્યા છે. આ બેઠકનું પ્રતિનિધિત્વ અગાઉ તેમના જ પિતા હુકુમ સિંહ કરતા હતા.

૨૦૧૯ પહેલા આ મુદ્દાઓ ચગશે?

ભાજપ માટે હવે જો વિપક્ષો એક થઈ મતોને તૂટતા અટકાવી દે તો પોતાના માટે ચૂંટણીનો જંગ જીતવો અઘરો છે તે સમજવાનો સમય હવે પાકી ચૂકયો છે. એવી પણ અટકળો છે કે, યુપીમાં યોગી આદિત્યનાથની હિંદુવાદી છબી, રામ મંદિર, મુઝફફરનગર રમખાણ, ગૌહત્યા અને કતલખાના બંધ કરાવવાના મુદ્દા લોકસભા ચૂંટણી અગાઉ વધુ જોરશોરથી ચગાવવામાં આવશે.

મુઝફફરનગર રમખાણો બાદ હિંદુ-મુસ્લિમ મતોમાં પડેલા ભાગલા ભાજપને ૨૦૧૪ની લોકસભા ચૂંટણીમાં ફળ્યા હતા, અને ખાસ તો યુપીમાં તેની મજબૂત અસર જોવા મળી હતી. આ ટ્રેન્ડ ૨૦૧૭માં થયેલી વિધાનસભા ચૂંટણીમાં પણ યથાવત રહ્યો હતો, જયારે પક્ષે 'સ્મશાન વિરુદ્ઘ કબ્રસ્તાન' તેમજ ગૌમાંસનો મુદ્દો જોરશોરથી ચગાવ્યો હતો.

સાથી પક્ષોનો મૂડ પણ બદલાયો

કેટલાક રાજકીય પંડિતો માને છે કે, પેટાચૂંટણીઓમાં કંગાળ પ્રદર્શન બાદ ભાજપ હિંદુત્વના મુદ્દા તરફ ફરી ઢળે તેવી શકયતા છે. ભાજપનું તેના સાથી જેડીયુ તેમજ શિવસેના સાથે ગણિત બગડી રહ્યું છે. મહારાષ્ટ્રની પેટાચૂંટણીના પરિણામ પછી ભાજપે ઉદ્ઘવ ઠાકરે સાથે સમાધાનકારી વલણ અપનાવવાનો પ્લાન પણ બનાવ્યો હતો, પરંતુ ઉદ્ઘવના તેવર જોતા લાગતું નથી કે તે હાલ તેના માટે તૈયાર થાય.

મહારાષ્ટ્ર અને બિહારમાં ભાજપ સાથે મળી સત્ત્।ામાં રહેલા શિવસેના અને જેડીયુ પેટાચૂંટણીમાં થયેલી હાર માટે ભાજપને જવાબદાર ગણાવી ચૂકયા છે. જોકે, કેન્દ્રિય મંત્રી રવિ શંકર પ્રસાદનું કહેવું છે કે પેટાચૂંટણીના પરિણામ આગામી લોકસભા ચૂંટણીનો વરતારો વ્યકત કરવાનો માપદંડ ન હોઈ શકે. રાજનાથ સિંહ પણ કહી ચૂકયા છે કે, લાંબી છલાંગ લગાવવા માટે બે ડગલાં પાછળ પણ જવું પડે છે.

(4:49 pm IST)