2019માં રાષ્ટ્રીય મુદ્દાઓની સાથે મોદી ફેક્ટર જીત અપાવશે
પેટાચૂંટણીમાં પરાજય બાદ 2019 માં વિજય માટે ભાજપ નેતાઓ આશાવાદી
નવી દિલ્હી :પેટાચૂંટણીમાં આવેલા પરિણામોમાં ભાજપને ઘણી સીટો પર મળેલા પરાજયથી લાગી રહ્યું છે કે, આગામી લોકસભા ચૂંટણીમાં ભાજપને સંયુક્ત વિપક્ષનો સામનો કરવો પડી શકે છે, પરંતુ પાર્ટી નેતાઓએ ભાર આપીને કહ્યું કે, રાષ્ટ્રીય મુદ્દાઓની સાથે-સાથે મોદી ફેક્ટર 2019માં ભાજપને જીત અપાવશે
ભાજપ અધ્યક્ષ અમતિભાઈ શાહે ગત દિવસોમાં કહ્યું હતું કે, તેમની પાર્ટી સંયુક્ત વિપક્ષના પડકારને બિનઅસરકારક બનાવવા માટે 2019માં 50 ટકા મત નિશ્ચિત રૂપે પ્રાપ્ત કરવા માટે આકરી મહેનત કરશે.
પાર્ટીએ પેટાચૂંટણીમાં પોતાના પરાજયને વધારે મહત્વ આપ્યું નથી. તે મહારાષ્ટ્રમાં બે લોકસભા સીટ પર થયેલી પેટાચૂંટણીમાં માત્ર પાલઘરને બચાવી શકી છે.
ભાજપના પ્રવક્તા તથા રાજ્યસભાના સભ્ય જીવી એલ નરસિમ્હા રાવે કહ્યું કે, મોદી ફેક્ટરે ઘણા રાજ્યમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં પાર્ટીને જીત અપાવી છે, પરંતુ પેટા ચૂંટણીમાં લોકો સ્થાનિક મુદ્દા, જાતિ તથા ઉમેદવારને જોઈને મત આપે છે, કારણ કે, તેને ખ્યાલ છે કે, આ પરિણામની કેન્દ્ર કે રાજ્યોમાં કોઈ અસર થશે નહીં.