મહારાષ્ટ્રમાં કોરોનાના નવા કેસ કરતાં ડિસ્ચાર્જનો આંકડો વધ્યો: વધુ 69,710 દર્દીઓને અપાઈ રજા
રાજ્યમાં ૪૧,૯૩,૬૮૬ દરદી હોમ ક્વોરન્ટીન કરાયા છે અને ૨૬,૪૬૨ સંસ્થાત્મક ક્વોરન્ટીન કરાયા
મુંબઈ : મહારાષ્ટ્રમાં કોરોનાનો કહેર યથાવત છે થોડાક દિવસથી રાજ્યમાં કોરોનાના દરદીની સંખ્યામાં ઘટાડો થયો છે અને દરદીઓ કોરોનાથી મુક્ત થવાનું પ્રમાણ વધી ગયું છે. મહારાષ્ટ્રમાં આજે દિવસભર કોરોનાના ૬૯,૭૧૦ દરદી સાજા થતાં હોસ્પિટલથી ડિસ્ચાર્જ આપ્યા હતા. જ્યારે દિવસભરમાં કોરોનાના નવા ૬૨,૯૧૯ કેસ નોંધાયા હતા અને ૮૨૮ દરદીએ જીવ ગુમાવ્યા હોવાનું રાજ્યના આરોગ્ય વિભાગે જણાવ્યું હતું.
રાજ્યમાં અત્યાર સુધી ૩૮,૬૮,૯૭૬ દરદી કોરોનાથી મુક્ત થયા છે. જેથી કરીને કોરોનાની રિકવરી થવાનું પ્રમાણ ૮૪.૬૯ ટકા થયું છે, હાલમાં રાજ્યમાં ૪૧,૯૩,૬૮૬ દરદી હોમ ક્વોરન્ટીન કરાયા છે અને ૨૬,૪૬૨ સંસ્થાત્મક ક્વોરન્ટીન કરાયા છે.
રાજ્યમાં આજ દિન સુધી ૨,૭૧,૦૬,૨૮૨ લોકોના કોરોના ટેસ્ટ કરાયા હતા. જેમાંથી ૪૬,૦૨,૪૭૨ કોરોનાના પોઝિટિવ નોંધાયા છે. આથી કોરોનાગ્રસ્તોનું પ્રમાણ ૧૭ ટકા થયું છે. મરણાંકની સંખ્યા વધીને ૬૮૮૧૩ થઈ છે. આથી મરણાંકનું પ્રમાણ ૧.૫ ટકા થયું હોવાનું આરોગ્ય વિભાગે જણાવ્યું હતું. રાજ્યમાં આજદિન સુધી કોરોનાના ૬,૬૨,૬૪૦ દરદી સક્રીય છે, એમ આરોગ્ય વિભાગે ઉમેર્યું હતું.