મુખ્ય સમાચાર
News of Saturday, 1st May 2021

ભરૂચમાં કોવિડ અગ્નિકાંડ : ૧૮ લોકો ભડથુ

ભરૂચની પટેલ વેલફેર હોસ્પિટલના કોવિડ વોર્ડમાં મધરાતે ભીષણ આગ : ૧૬ દર્દી - ૨ સ્ટાફ સહિત ૧૮ લોકો જીવતા ભુંજાઇ ગયા : અગ્નિકાંડ વખતે ICUમાં ૨૭ દર્દીઓ હતા : અન્ય દર્દીઓને બીજે શિફટ કરાયા : મૃતક દર્દીઓના સ્વજનો આઘાતમાં સરી પડયા

ભરૂચ તા. ૧ : રાજ્યમાં કોવિડ હોસ્પિટલમાં આગની વધુ એક ઘટના બની છે. ભરૂચની એક કોવિડ હોસ્પિટલમાં મધરાતે ભયાનક આગ લાગતા ૧૬ દર્દીઓ - ૨ સ્ટાફ સહિત ૧૮ લોકોના કરૂણ મોત થયા છે. મૃત્યુઆંક વધવાની વકી છે. આગ લાગી ત્યારે ૫૮ દર્દીઓ સારવાર લેતા હતા. જેમાં ૨૭ ICU વોર્ડમાં હતા. આગને ભારે જહેમત બાદ કાબુમાં લેવામાં આવી છે. શોર્ટ સર્કિટને કારણે આગ લાગ્યાનું અનુમાન છે. આગ બાદ ભારે અફડાતફડીનો માહોલ જોવા મળ્યો હતો. મૃતક દર્દીઓના સ્વજનો આઘાતમાં સરી પડયા છે. બાકીના દર્દીઓને બીજી હોસ્પિટલમાં ખસેડાયા છે.

શહેરની વેલફેર હોસ્પિટલ સ્થિત કોવિડ સેન્ટરના ICU માં રાતે પોણા એક વાગ્યાના અરસામાં ભીષણ આગ ફાટી નીકળતા અફરાતફરી મચી ગઈ હતી. ઘટનામાં ૧૮ લોકો ગંભીર રીતે દાઝી જવાથી મોતને ભેટયા છે. પ્રાપ્ત અહેવાલો મુજબ ભરૂચ જંબુસર બાયપાસ પર આવેલી વેલફેર હોસ્પિટલને ડેઝિગનેટેડ કોવિડ હોસ્પિટલમાં જાહેર કરવામાં આવી હતી. જેથી ભરૂચના અનેક કોરોના પોઝિટીવ દર્દીઓને આ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહીં હતી. તેવામાં મધ્યરાત્રીએ હોસ્પિટલના કોવિડ વોર્ડના ICU -1 માં અચાનક આગ લાગતા ૧૮ જેટલા દર્દીઓ બળીને ભડથું થઇ ગયા હોવાના અહેવાલ પ્રાથમિક તબક્કે જાણવા મળી રહ્યાં છે.

હોસ્પિટલમાં દાખલ અન્ય દર્દીઓને રેસ્કયૂ કરી જિલ્લાની અલગ અલગ હોસ્પિટલમાં શીફટ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. હોસ્પિટલના કોવિડ વોર્ડમાં આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનુ પ્રાથમિક તારણ જાણવા મળી રહ્યું છે.

બનાવ અંગેની પ્રાથમિક માહિતી અનુસાર તા. ૩૦ એપ્રિલની મધ્યરાત્રીએ હોસ્પિટલાના કોવિડ વોર્ડમાં અચાનક આગ લાગતા ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. હોસ્પિટલમાં આગ લાગી હોવાની વાત વાયુ વેગની જેમ ફેલાતા ભરૂચના પશ્ચિમ વિસ્તારના ૪ થી ૫ હજાર લોકો હોસ્પિટલ બહાર દોડી આવ્યાં હતા. બીજી તરફ હોસ્પિટલમાં દાખલ દર્દીઓના સ્વજનો તેમને બચાવવા માટે આજીજી કરી રહ્યાં હતા.

હોસ્પિટલમાં મધ્યરાત્રીએ લાગેલી ભયંકર આગમાં ૧૨ જેટલા દર્દીઓ ગંભીરરીતે દાઝી ગયા હતા જયારે અન્ય દર્દીઓને બીજી હોસ્પિટલમાં શીફટ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. ઘટનાને પગલે ૨૫ થી વધુ એમ્બ્યુલન્સો બચાવ કામગીરીમાં લાગી હતી. તેમજ જિલ્લા પોલીસનો કાફલો અને ફાયર બ્રીગેડના વાહનો ઘટના સ્થળે પહોંચી પરિસ્થિતિ ઉપર નિયંત્રણ મેળવવા કામે લાગ્યા હતા.

ગુજરાતમાં કોરોનાની મહામારી સાથે સાથે કોવિડ-૧૯ હોસ્પિટલોમાં આગ લાગવાની ઘટનાઓ પણ મહામારીની જેમ બેફામ બની છે. છેલ્લા એક વર્ષમાં અમદાવાદ, વડોદરા, જામનગર અને રાજકોટમાં પણ કોરોનાની સારવાર લઇ રહેલા દર્દીઓ ICUની આગમાં લપેટાયા છે. છેલ્લા એક વર્ષમાં ભરૂચની ઘટના મળી પાંચ અગ્નિકાંડ થયા છે.

(11:02 am IST)