બજેટમાં નવા ટેક્ષ સ્લેબનો વિકલ્પ
ખર્ચ કરીને પણ બચાવો ટેક્ષ : હવે ર-ર સ્લેબ, કયો પસંદ કરશો ? બજેટનું ગતકડુ
શરતો સાથે છૂટનું એલાન
નવી દિલ્હી, તા. ૧ : નાણા પ્રધાન નિર્મલા સીતારમણે બજેટમાં નોકરીયાત વર્ગો માટે શરતો સાથે છૂટની જાહેરાત કરી દીધી છે. નાણા પ્રધાને ટેક્ષ સ્લેબમાં મોટા ફેરફાર કરતા નોકરીયાતો માટે મોટી છૂટછાટ આપી છે. તેમણે એક નવું કર માળખુ રજુ કરતા કહ્યું કે જો કરદાતાઓ આવકવેરા કાયદા હેઠળ મળતી કેટલીક છૂટછાટો ન લે તો ૧પ લાખ રૂપિયા સુધીની આવકવાળાએ પહેલાની સરખામણીમાં ઓછા દરે ટેક્ષ ભરવો પડશે. જો કે આ કરદાતાની મરજી પર આધારીત રહેશે કે તેણે જુનો ટેક્ષ સ્લેબ રાખવો છે કે નવો નાણાપ્રધાન અનુસાર, આવકવેરા કાયદાની વિભિન્ન કલમો હેઠળ મળતી છૂટ ન લેનારને નવો ટેક્ષ સ્લેબ મળશે.
નાણા પ્રધાને કહ્યું કે આવકવેરાનું અત્યારનું માળખું થોડું અઘરૃં છે એટલે તેને સરળ બનાવવા માટે એક નવી વ્યવસ્થા લાવવામાં આવી રહી છે. તેમણે કહ્યું કે નવી વ્યવસ્થામાં જો કરદાતા કેટલાક ડીડકશન અને એકઝેમ્પશન લેવાનું છોડી દે તો તેમના માટે નવો સ્લેબ લાગુ થશે. પ લાખ સુધીની આવક પર કોઇ પણ વ્યવસ્થામાં કોઇ ટેક્ષ નહીં લાગે.