૧૦૦ વર્ષ પહેલાં રાજસ્થાનની કોર્ટમાં ફાઇલ થયેલા કેસમાં પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટે આખરે ફેંસલો આપ્યો
ઇસ્લામિક કાયદા મુજબ પ્રોપર્ટી વારસોમાં સરખા ભાગે વહેંચી દેવામાં આવી
ઇસ્લામાબાદ તા.૧: પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટે મંગળવારે ૧૦૦ વર્ષ જૂના વડવાઓની સંપતિના કેસનો ચુકાદો આપ્યો હતો. પહેલી વાર આ કેસ ૧૯૧૮માં રાજસ્થાન કોર્ટમાં દાખલ કરવામાં આવ્યો હતો. સંપત્તિથી જોડાયેલો આ કેસ ભાગલપુરની ૭૦૦ એકર જમીનનો હતો. ભાગલપુર વિસ્તાર ભાગલા પહેલાં રાજપૂતાના સ્ટેટ હેઠળ હતો.
ભાગલા બાદ આ કેસ ભાગલપુર ટ્રાયલ કોર્ટને ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો, જે હવે પાકિસ્તાનના પંજાબ પ્રાંતનું એક શહેર છે. ૨૦૦૫માં આ કેસને પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટમાં ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો. ઇસ્લામાબાદથી ભાગલપુર ગયેલા આ કેસમાં અરજદારોનો દાવો છે કે તેમના વડવા શાહબુદ્દીન અને શેરખાનના પુત્ર જ આ વિવાદિત જમીનના અસલી માલિક છે. શાહબુદ્દીન ૧૯૧૮માં મરણ પામ્યા હતા અને ત્યારથી જ આ કેસ ચાલી રહ્યો છે.
પાકિસ્તાનના ચીફ જસ્ટિસ મિયાં સાકિબ નિસારના અધ્યક્ષપદ હેઠળ ત્રણ જજિઝની બનેલી બેન્ચે આ કેસની સુનાવણી કરી હતી. ફેંસલો સંભળાવતી વખતે પાકિસ્તાનના ચીફ જસ્ટિસે જણાવ્યું હતું કે આ સંપતિ ઇસ્લામિક કાયદા મુજબ તમામ ઉત્તરાધિકારીઓમાં સરખા ભાગે વહેંચી દેવી જોઇએ. તેમણે જણાવ્યું હતું કે કોર્ટ કોઇને પણ તેમના હકથી વંચિત ન રાખી શકે. પાકિસ્તાનની અદાલતમાં હજારો કેસ દાયકાઓથી પેન્ડિંગ પડ્યા રહ્યા છે. કાનૂની વિશેષજ્ઞોનું માનવું છે કે આવા કેસોનો નિકાલ પાકિસ્તાની પીનલ કોડમાં સુધારો કર્યા સિવાય નહીં લાવી શકાય.