Gujarati News

Gujarati News

News of Saturday, 31st October 2020

પાકિસ્‍તાનમાં 13 વર્ષની ખ્રિસ્‍તી સગીરાનું અપહરણ-બળજબરીપૂર્વક ધર્મ પરિવર્તનઃ કરાંચી લોકોનો ગુસ્‍સો ભડક્‍યોઃ દોષિતો વિરૂદ્ધ ભારે આક્રોશ

કરાંચી: પાકિસ્તાનમાં 13 વર્ષીય ખ્રિસ્તી છોકરીના અપહરણ અને બળજબરીપૂર્વક ધર્મ પરિવર્તને લઇને લોકોનો ગુસ્સો ભડક્યો છે. કરાંચીમાં લોકોએ પ્રદર્શન કર્યું અને દોષીઓ વિરૂદ્ધ કાર્યવાહીની માંગ કરી. જોકે આ પ્રદર્શનનો કોઇ ફાયદો થશે તેની ખૂબ જ ઓછી સંભાવના છે. કારણ કે પાકિસ્તાનમાં અલ્પસંખ્યકો પર ધાર્મિક અત્યાચારની ઘટનાઓ હવે સામાન્ય થઇ ગઇ છે. 

અપહરણકર્તાએ બળજબરીપૂર્વક કર્યા લગ્ન

મોટાપાયે ધર્મ પરિવર્તન માટે બદનામ સિંધૂની રાજધાની કરાંચીમાં 13 ઓક્ટોબરના રોજ ખ્રિસ્તી છોકરી આરજૂ રાજા ધોળેદહાડે રેલવે કોલોની સ્થિત તેના ઘરની બહારથી અપહરણ કરવામાં આવ્યું હતું. પછી પોલીસે પીડિત પરિવારને જણાવ્યું કે આરજૂએ પોતાની મરજીથી ઇસ્લામ કબૂલ કરી લીધો છે અને 44 વર્ષના અપહરનકર્તા અલી અઝહર સાથે લગ્ન કરી લીધા છે.

પોલીસે દલીલ સ્વિકારી નહી

આરજૂના પરિવાર પોલીસની આ દલીલ માનવા માટે તૈયાર નથી. તેને લેખિત ફરિયાદ નોંધાવી છે અને બાળકીની સુરક્ષિત વાપસી માટે કોર્ટમાં અરજી દાખલ કરી છે. ચોંકાવનારી વાત એ છે કે આ પહેલાં હાઇકોર્ટએ બાળકીના નિકાહને યોગ્ય ગણાવતાં પોલીસે મુખ્ય આરોપી પર કોઇ કાર્યવાહી ન કરવા માટે કહ્યું હતું. તો બીજી તરફ છોકરીની માતા રીતા મસીહનો આરોપ છે કે કોર્ટ પરિસરમાં કેટલાક લોકો દ્વારા તેમને ધમકી આપવામાં આવી. 

બ્રિટિશ સાંસદોએ પણ કરી નિંદા

બ્રિટિશ સાંસદોના ક્રોસ પાર્ટી ગ્રુપે આ ઘટનાની નિંદા કરી છે. સાથે જ ગ્રુપના પાકિસ્તાન સરકારે અપીલ પણ કરી હતી કે પીડિત પક્ષને જલદી ન્યાય અપાવવામાં આવે. ઉલ્લેખનીય છે કે પાકિસ્તાનમાં બળજબરીપૂર્વક ધર્મ પરિવર્તનની ઘટનાઓ વધી રહી છે. એક અનુમાન મુજબ પાકિસ્તાનમાં દર વર્ષે 1000થી વધુ ખ્રિસ્તી અને હિંદુ મહિલાઓ-છોકરીઓના અપહરણ કરવામાં આવે છે. ત્યારબાદ તેમને બળજબરીપૂર્વક ધર્મ પરિવર્તન કરાવીને કોઇ મુસ્લિમ છોકરા સાથે નિકાહ કરાવી દેવામાં આવે છે. પીડિતોમાં મોટાભાગની ઉંમર 12 વર્ષથી 25 વર્ષની વચ્ચે હોય છે.

(5:01 pm IST)