Gujarati News

Gujarati News

News of Saturday, 31st October 2020

કોરોના વેકસીન લગાવવાની તૈયારી : કેન્દ્રએ રાજ્યોને સમિતિઓ બનાવવા નિર્દેશ આપ્યો

વેકસીન કામકાજને જોવા અને સમન્વય માટે સમિતિ જરૂરી છે : સોશ્યલ મીડિયા ઉપર પણ નજર રાખવા નિર્દેશ કે જેથી અફવાઓ ઉપર લગામ મુકી શકાય

નવી દિલ્હી,તા. ૩૧: કેન્દ્ર સરકારે રાજયોને કોવિડ-૧૯ની વેકસીનેશનના કામકાજને જોવા અને સમન્વય કરવા માટે સમિતિઓ બનાવવા કહ્યું છે. તે સાથે જ કેન્દ્રએ રાજયોને એ સુનિશ્ચિત કરવા કહ્યું છે કે, સામાન્ય સ્વાસ્થ્ય સેવાઓ પર તેની ઓછામાં ઓછી અસર પડે. કેન્દ્રએ કહ્યું કે, સોશિયલ મીડિયા પર શરૂઆતથી જ નજર રાખવામાં આવે, જેથી એ અફવાઓ રોકી શકાય, જેની અસર સમાજમાં વેકસીનનો સ્વીકાર કરવા પર પડી શકે છે.

કેન્દ્રએ કહ્યું કે, કોરોના વાયરસની વેકસીન આપવામાં લગભગ એક વર્ષનો સમય લાગશે અને તેમાં જુદા-જુદા સમૂહોને સામેલ કરવામાં આવનાર છે, જેની શરૂઆત આરોગ્ય કર્મચારીઓથી થશે. આરોગ્ય મંત્રાલયે તેને પગલ રાજય અને જિલ્લા સ્તર પર સમિતિ બનાવવા કહ્યું છે, જે વેકસીનેશનની તૈયારીઓ જેવી કે, વેકસીન રાખવા માટે કોલ્ડ સ્ટોરેજ, ટ્રાન્સપોર્ટની તૈયારી, ભૌગોલિક આધાર પર રાજય વિશેષના પડકાર વગેરેની સમીક્ષા કરશે.

રાજયો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને લખેલા પત્રમાં કેન્દ્રીય આરોગ્ય સચિવ રાજેશ ભૂષણે રાજયોના મુખ્ય સચિવની અધ્યક્ષતામાં રાજય સંચાલન સમિતિ (એસએસસી), અપર મુખ્ય સચિવ કે પ્રધાન સચિવ (આરોગ્ય)ના નેતૃત્વમાં રાજય કાર્યબળ (એસટીએફ) અને જિલ્લા અધિકારીના નેતૃત્વમાં જિલ્લા કાર્યબળ (ડીટીએફ) બનાવવાનું સૂચન આપ્યું છે.

પત્રની સાથે સંલગ્ન પરિશિષ્ટમાં સમિતિઓના કાર્યોને પણ રેખાંકિત કરાયા છે, જેમકે, એસએસી સુનિશ્યિત કરશે કે બધા સંબંધિત વિભાગો સક્રિય રીતે કાર્ય કરે અને જનભાગીદારી માટે નવીન રણનીતિ તૈયાર કરે, જેથી બધાને વેકસીન મળે તે સુનિશ્ચિત થઈ શકે.

ઉલ્લેખનીય છે કે, કેન્દ્ર સરકારે કોરોના વેકસીનના સ્ટોરેજ માટે વિવિધ કોલ્ડ સ્ટોરેજ શોધવાનું કયારનું શરૂ કરી દીધું છે. તેના માટે કેટલીક મોટી ફૂડ કંપનીઓ સાથે પણ વાતચીત થઈ રહી છે. જેથી દેશભરમાં કોઈ મુશ્કેલી વિના દરેક નાગરિક સુધી વેકસીન પહોંચાડી શકાય. દેશમાં કોરોના કેસો ભલે થોડા ઘટ્યા હોય, પરંતુ કેટલાક રાજયો કોરોના સંક્રમણના ત્રીજા તબક્કો શરૂ થઈ રહ્યાના સંકેત મળી રહ્યા છે. ત્યારે પીએમ મોદીએ પણ તાજેતરમાં પોતાના રાષ્ટ્રજોગ સંદેશમાં દેશવાસીઓને બેદરકારી ન રાખવા અને માસ્ક પહેરવા તેમજ સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવાની સલાહ આપી હતી. દરમિયાનમાં દેશમાં અનલોક ૫ની ગાઈડલાઈન પણ જારી થઈ ગઈ છે. જોકે, તેમાં કોઈ મોટો ફેરફાર ન કરાતા અગાઉના નિયમો જ જાળવી રાખવામાં આવ્યા છે.

(11:31 am IST)