Gujarati News

Gujarati News

News of Wednesday, 31st October 2018

આતંકીઓ માટે સુપ્રીમ કોર્ટ રાત્રે ખુલે છે, પરંતુ રામ મંદિર માટે ૧ મિનિટ નથી : ગિરિરાજસિંહ

બેગુસરાયમાં કેન્દ્રીય મંત્રી ગિરિરાજસિંહે કોંગ્રેસ જ નહીં પરંતુ સર્વોચ્ચ અદાલતને લઇને પણ આપ્યું વિસ્ફોટક નિવેદન

બેગુસરાય તા. ૩૧ : પોતાના નિવેદનો અંગે હંમેશાં ચર્ચામાં રહેતા ભાજપના નેતા ગિરિરાજ સિંહે ફરી એક વખત આવું જ એક વિવાદિત નિવેદન આપ્યું છે. બેગુસરાયમાં ગિરિરાજ સિંહે કોંગ્રેસ જ નહીં પરંતુ સુપ્રીમ કોર્ટને પણ મહેણું માર્યું હતું.

ગિરિરાજ સિંહે જણાવ્યું કે, હિન્દુઓના શ્રદ્ઘાના કેન્દ્ર રામ મંદિર માટે કોર્ટ પાસે ૧ મિનિટનો સમય હોતો નથી, જયારે આ જ ભારતમાં આતંકવાદીઓ માટે કોર્ટ રાત્રે પણ ખુલે છે. શહેરી નકસલવાદીઓ માટે કોર્ટ તાત્કાલિક સુનાવણી હાથ ધરે છે, પરંતુ રામ મંદિર માટે કોર્ટ પાસે સમય નથી એ કમનસીબી છે.

સાથે જ કોંગ્રેસ પર નિશાન તાકતા ગિરિરાજ સિંહે જણાવ્યું કે, કોંગ્રેસના નેતાઓ હંમેશાં ચૂંટણી બાદ જ કોર્ટ સમક્ષ સુનાવણીની માગણી કરે છે. દેશમાં હંમેશાં ચૂંટણી ચાલતી રહે છે તો કોર્ટે સમગ્ર દેશમાં નીચેથી ઉપર સુધી એક જ સમયે ચૂંટણી કરાવવી જોઈએ. તેમણે જણાવ્યું કે, દેશના ભાગલા ધર્મના આધારે થયા હતા, પરંતુ ૭૧ વર્ષમાં કોર્ટ દ્વારા રામ મંદિરનો નિર્ણય લેવાયો નથી.

સોમવારે પણ રામ મંદિર પર નિશાન તાકતા ગિરિરાજ સિંહે જણાવ્યું હતું કે, આ દેશની કમનસીબી છે કે, હિન્દુઓને પ્રતાડિત થવું પડે છે. આઝાદીના તુરંત બાદ હિન્દુ-મુસ્લિમના માને દેશના ભાગલા પડ્યા હતા. એ સમયે જો કોંગ્રેસે હિન્દુઓના શ્રદ્ઘાના કેન્દ્ર પ્રભુ શ્રી રામનું મંદિર બનાવી દીધું હોત તો આજે આ દુર્દશના ન હોત.

જવાહરલાલ નેહરુએ વોટ માટે આ મુદ્દો વિવાદિત રાખ્યો છે. હવે કોંગ્રેસ તેને વિવાદિત બનાવી રાખવા માગે છે. આ અગાઉ પણ તેમણે જણાવ્યું હતું કે, હિન્દુ-મુસ્લિમ બંને સમુદાયના લોકો ભેગામળીને રામ મંદિરના નિર્માણમાં સહયોગ કરે. જો રામ મંદિરનું નિર્મામ નહીં થાય તો હિન્દુઓને દુખ થશે અને ત્યાર બાદ કંઈ પણ ઘટી શકે છે.

(11:45 am IST)