Gujarati News

Gujarati News

News of Tuesday, 31st March 2020

હપ્તામાં છુટ મામલે બેંકોના મૌનથી ગ્રાહકો મુંઝાયા

રીઝર્વ બેંકે જાહેરાત કરી હતી કે લોકો ૩ મહિના સુધી હપ્તા નહિ ભરે તો ચાલશે પણ બેંકોએ હજુ કોઇ ફોડ પાડયો નથીઃ લોન લેનારાને બેંકો તરફથી મળે છે હપ્તા ભરવાના મેસેજ : કાલથી શરૂ થાય છે EMIની નવી સાયકલ

મુંબઈ તા.૩૧ : ભારતીય રિઝર્વ બેંકે કોરોના વાયરસ અને લોકડાઉનની સ્થિતિને જોતા ભલે ટર્મ લોનના ગ્રાહકોને રાહત આપવાની જાહેરાત કરી દીધી હોય અને આગામી ૩ મહિના સુધી EMIના હપ્તા ભરવામાં છૂટ આપવાની જરૂર ન હોવાનું જણાવ્યું હોય. પરંતુ ગ્રાહકોને લોન આપનાર બેંકો હજુ સુધી આ આદેશ પર મગનું નામ મરી નથી પાડી રહી. ગ્રાહકોના આગામી મહિનાના EMIની તારીખમાં હવે એક જ દિવસ બચ્યો છે તેમ છતા હજુ સુધી કોઈપણ બેંક દ્વારા એમ નથી કહેવામાં આવ્યું કે જો તેના ગ્રાહકો ઇચ્છે તો આગામી ત્રણ મહિના સુધી EMI નહીં ભરે તો ચાલશે.

રિઝર્વ બેંકના ગવર્નર શશિકાંત દાસએ મોનિટરી પોલિસીની સમીક્ષા બાદ કેટલીક મોટી જાહેરાતો કરતા કહ્યું હતું કે ટર્મ લોન લેનાર ગ્રાહકો માટે આ સુવિધા આપવામાં આવી રહી છે કે તેઓ ઇચ્છે તો પોતાના આગામી ત્રણ મહિનાની EMI ચૂકવવી નહીં પડે. આ લાભ સરકારી, પ્રાઇવેટ બેંકો, ક્ષેત્રીય ગ્રામીણ બેંકો, સહકારી બેંકો અથવા કોઈ હાઉસિંગ ફાઈનાન્સ કંપની પાસેથી ટર્મ લોન લેનાર તમામ ગ્રાહકોને મળનાર હતો. જોકે દેશની સૌથી મૌટી સરકારી બેંક SBI અને અન્ય મોટી પ્રાઈવેટ બેંકો HDFC, ICICI,AXIS અને કોટક મહિન્દ્રા બેંક જેવી કોઈ બેંકે હજુ સુધી કોઈ જાહેરાત કરી નથી.

બેંકોની મોટાભાગની બ્રાન્ચને પોતાના હેડકવાર્ટરથી આ બાબતે હજુ સુધી કોઈ સુચના મળી નથી. મોટાભાગના બેંકર્સનું કહેવું છે કે EMI ન ભરવાનો વિકલ્પ ગ્રાહકોએ પસંદ કરવાનો છે. પરંતુ જે ચુકવી શકે છે તેના માટે આ યોજનામાં કોઈ લાભ નથી.

SBI સાથે જોડાયેલ સૂત્રોએ કહ્યું કે, 'પોતાનો EMI ન ચૂકવનાર ગ્રાહકોને બેંક રીપેનો ઓપ્શન આપશે.' જયારે HDFC બેંકે કહ્યું કે તેમને એક-બે દિવસનો સમય લાગી શકે છે તેઓ SMS અને ઈમેઇલ દ્વારા પોતાના ગ્રાહકોને આ વિકલ્પ અંગે જાણકારી આપશે. સાથે જ જે લોકો લોન ભરવા માગે છે તેમને પણ આ માટે ઓપ્શન આપવામાં આવશે. બેંકના એક અધિકારીએ કહ્યું કે, 'ગ્રાહકોએ એ સમજવાની જરૂર છે કે બેંકે ફકત ત્રણ મહિના સુધી હપ્તા ન ચૂકવા માટે છૂટ આપી છે. એટલે કે ત્રણ મહિના સુધી EMI ચૂકવવામાંથી છૂટ મળી છે. તેમાં વ્યાજનો કોઈ ઓપ્શન નથી. ગ્રાહકોએ એ ધ્યાન રાખવું જોઈએ કે આ લાભ લેવાથી તેમના હપ્તા તો આગળ વધશે જ સાથે સાથે તેમણે આ ત્રણ મહિના માટે વધારાનું વ્યાજ પણ ચૂકવવું પડશે.'

(11:19 am IST)