Gujarati News

Gujarati News

News of Tuesday, 31st January 2023

ભારતના સ્ટાર કુસ્તીબાજોની નારાજગી બાદ ખેલ મંત્રાલયે કર્યો મોટો નિર્ણયઃ ઓવરસાઈટ કમિટીમાં બબીતા ફોગાટને બનાવ્યાં સભ્યઃ રેસલર્સે બ્રિજભૂષણ સામે કર્યા હતા યૌન શૌષણના આરોપ

- બ્રિજભૂષણ સામેના યૌન શૌષણના આરોપની કરશે તપાસઃ સરકારે બનાવી હતી પાંચ સભ્યોની કમિટી

નવી દિલ્‍હીઃ ભારતના સ્ટાર કુસ્તીબાજોની નારાજગી બાદ ખેલ મંત્રાલયે મંગળવારે મોટો નિર્ણય લીધો છે. રમત મંત્રાલયે સ્ટાર રેસલર બબીતા ફોગાટને મોટી જવાબદારી સોંપી છે. રેસલિંગ એસોસિએશન ઓફ ઈન્ડિયાના પ્રમુખ બ્રિજ ભૂષણ શરણ સિંહ પર વિનેશ ફોગાટે યૌન શોષણનો આરોપ લગાવ્યો હતો. જે બાદ સાક્ષી મલિક, બજરંગ પુનિયા સહિત ઘણા મોટા કુસ્તીબાજો જંતર મંતર પર ધરણા પર બેઠા હતા. ખેલ મંત્રી અનુરાગ ઠાકુરે મિટિંગ યોજીને તપાસની ખાતરી આપી હતી. મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું છે કે બબીતા ફોગાટને બબીતા ફોગાટને રચાયેલી સમિતિમાં સામેલ કરવા અંગે માહિતી આપવામાં આવી હતી. આ સમિતિમાં બોક્સિંગ લેજન્ડ એમસી મેરી કોમ, ભૂતપૂર્વ કુસ્તીબાજ યોગેશ્વર દત્ત, ભૂતપૂર્વ બેડમિંટન ખેલાડી તૃપ્તિ મુર્ગુંડે, એસએઆઈના ભૂતપૂર્વ અધિકારી રાધિકા શ્રીમન અને ટાર્ગેટ ઓલિમ્પિક પોડિયમ સ્કીમના ભૂતપૂર્વ સીઈઓ રાજેશ રાજગોપાલનનો સમાવેશ થાય છે.

બ્રૂજભૂષણ પર લાગેલા આરોપોની તપાસ માટે રમત મંત્રીએ 5 સભ્યોની સમિતિની રચના કરી હતી જોકે તેમાં કોઈ રેસલરને સામેલ ન કરવામાં આવતા તેઓ નારાજ થયા હતા, કેન્દ્ર સરકારના ખેલ મંત્રાલયે રેસલરની આ નારાજગી પારખીને તેમની સમસ્યાનો નિવેડો લાવવાનો નિર્ણય કર્યો હતો. આ આક્રોશને પગલે કુસ્તીબાજ બબીતા ફોગાટને મંગળવારે બ્રિજભૂષણ સિંહ સામેના વિવિધ આરોપોની તપાસ માટે રચાયેલી સમિતિમાં સામેલ કરવામાં આવી હતી. ખેલ મંત્રાલયે રચેલી સમિતિ બ્રિજ ભૂષણની સામે જાતીય સતામણી, ધાકધમકી, નાણાકીય અને વહિવટી અનિયમિતતાની તપાસ કરી રહી છે.

વાસ્તવમાં સમિતિની રચના છતાં કુસ્તીબાજો એટલા માટે નારાજ હતા કારણ કે તેમણે કહ્યું હતું કે સમિતિની રચના કરતાં પહેલાં તેમની સલાહ લેવામાં આવી નહતી. સાક્ષી, બજરંગ, વિનેશે તો ટ્વીટ કરીને પોતાની નારાજગી પણ વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે તેઓ સમિતિની રચનાથી ખુશ નથી. તેમણે કહ્યું કે તેમને ખાતરી આપવામાં આવી હતી કે ઓવરસાઇટ કમિટીની રચના પહેલા અમારી સલાહ લેવામાં આવશે, પરંતુ તેમનો અભિપ્રાય પણ લેવામાં આવ્યો ન હતો.

(10:45 pm IST)